
મુંબઇ,
શ્રીલંકા સામેની વનડે શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા બાદ વાપસી કરી રહેલો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે આ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને અગાઉ આ શ્રેણીનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા ૧૦ જાન્યુઆરીએ પ્રથમ વનડે રમવાની છે. બીસીસીઆઇદ્વારા ૩ જાન્યુઆરીએ વનડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે. પરંતુ વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી કોઈ ઉતાવળ ન થાય અને તેને પરત ફરવા માટે પૂરો સમય મળે. ૠષભ પંત પહેલેથી જ કાર અકસ્માતને કારણે ઘાયલ છે અને તેના વર્લ્ડ કપમાં ભાગ લેવા પર હજુ પણ શંકા છે.
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર ૨૦૨૨થી ક્રિકેટથી દૂર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ્૨૦ શ્રેણી રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો. જે બાદ તે ઈજાના કારણે ટીમની બહાર રહ્યો, જસપ્રીત બુમરાહે એશિયા કપ, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભાગ લીધો ન હતો.
વનડે શ્રેણી માટે બંને ટીમોની ટીમ-
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), નુવાનિડુ ફર્નાન્ડો, અવિષ્કા ફર્નાન્ડો, એશેન બંડારા, પથુમ નિસાક્ધા, ધનંજય ડી’સિલ્વા, ચરિત અસલંકા, ચમિકા કરુણારત્ને, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), સદિરા સમરવિક્રમા (વિકેટકીપર), દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશાન, ડુનિથ વેલાલેજ, જેફરી વેંડરસે, કાસુન રાજીથા, લાહિરુ કુમારા અને મહિષ તિક્ષ્ણા.
શ્રેણી શેડ્યૂલ:
૧૦ જાન્યુઆરી – પ્રથમ વનડે ગુવાહાટી, બપોરે ૧.૩૦ કલાકે
૧૨ જાન્યુઆરી – બીજી વનડે કોલકાતા, બપોરે ૧.૩૦ કલાકે
૧૫ જાન્યુઆરી – ત્રીજી વનડે , તિરુવનંતપુરમ, બપોરે ૧.૩૦ કલાકે