શિવાજીએ સુરત લૂંટ્યું હતું’, ભાજપના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદન પર રાજકારણમાં ખળભળાટ

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજીની પડી ગયેલી પ્રતિમાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. પ્રતિમા તુટીને નબળી ગુણવત્તાને લઈને શરૂ થયેલું રાજકારણ હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપો સુધી આવી ગયું છે. કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ભાજપ પર નિશાન સાધી રહી છે ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદને પણ હલચલ મચાવી દીધી છે. નારાયણ રાણેએ કહ્યું કે મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજે ખરેખર સુરતને લૂંટ્યું હતું.

મુંબઈમાં બીજેપી હેડક્વાર્ટરમાં મીડિયાને સંબોધતા નારાયણ રાણેએ કહ્યું, ’હું કોઈ ઈતિહાસકાર નથી. પરંતુ મેં ઇતિહાસકાર બાબાસાહેબ પુરંદરે પાસેથી જે કંઈ વાંચ્યું, સાંભળ્યું અને જાણ્યું છે, શિવાજી મહારાજ ની સુરત લા લૂટ કેલી (શિવાજી મહારાજે સુરત લૂંટ્યું હતું).’

રાણેનું નિવેદન ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવાજી વિરુદ્ધ ખોટા પ્રચાર માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યાના એક દિવસ બાદ આવ્યું છે. જેમાં લખ્યું હતું કે ’છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય સુરતને લૂંટ્યું નથી.’ફડણવીસે કહ્યું, ’વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ડિસ્કવરી ઑફ ઈન્ડિયામાં શિવાજી મહારાજને સુરતના લૂંટારા તરીકે રજૂ કરવા માટે તેમને ખોટી રીતે રજૂ કર્યા હતા. જો કે, આ હકીક્તમાં ખોટી ધારણાઓ હતી.

ફડણવીસે કહ્યું, ’આઝાદી પછી કોંગ્રેસે જાણી જોઈને શીખવ્યું કે શિવાજીએ સુરતને લૂંટ્યું. જ્યારે, સાચી સ્થિતિ એ છે કે શિવાજીએ ’સ્વરાજ્ય’ ખાતર યોગ્ય લોકો પાસેથી ખજાનો લૂંટ્યો અથવા રાષ્ટ્રના વિશાળ કલ્યાણ માટે તેમના પર હુમલો કર્યો.’ તે જ સમયે, બીજેપી પ્રવક્તાએ જવાહરલાલ નેહરુના પૌત્ર રાહુલ ગાંધીને તેમના દાદા દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે.

સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી ગયા બાદ સત્તાધારી અને વિરોધ પક્ષો એકબીજા પર રાજા વિશે તથ્યોને વિકૃત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈતિહાસના પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે શિવાજીએ ૧૬૬૪ અને ૧૬૭૦માં સુરત પર બે વાર હુમલો કરીને લૂંટી લીધી હતી, જે તે સમયે આથક રીતે સમૃદ્ધ શહેર અને મુઘલોનું મુખ્ય બંદર હતું.

મીડિયા સાથે વાત કરતા નારાણ રાણેએ કહ્યું કે, ’વિપક્ષ ચૂંટણીને યાનમાં રાખીને શિવાજીની પ્રતિમાના પતનની રાજનીતિ કરી રહ્યો હતો જે દુર્ભાગ્યપૂર્ણ છે. શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાએ આગળ આવીને શાંતિની અપીલ કરવી જોઈતી હતી. પરંતુ સ્પષ્ટ છે કે વિપક્ષ આ ઘટનાનો ઉપયોગ વાતાવરણને બગાડવા માટે કરી રહ્યો છે.