
મુંબઇ : મહારાષ્ટ્રમાં વધુ એક ભાગલાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેની સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથ સાથે જોડાયા બાદ શિવસેના (શિંદે જૂથ)ના ઘણા ધારાસભ્યો આ ઘટનાક્રમથી ખૂબ નારાજ છે અને તેઓ તેમની નવી જગ્યા શોધી રહ્યા છે. દરમિયાન, સંજય રાઉતે દાવો કર્યો કે શિંદે જૂથના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે જૂથ) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર શિવસેનાના ઓછામાં ઓછા ૧૭ થી ૧૮ ધારાસભ્યો, જેઓ એનસીપી નેતા અજિત પવારના જૂથના રાજ્ય સરકારમાં જોડાવાથી નારાજ છે.
બીજી તરફ, સંજય રાઉતના દાવાની વિરુદ્ધ શિંદે સરકારમાં મંત્રી ઉદય સામંતે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૩માંથી ૬ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. મુંબઈમાં, સંજય રાઉતે દાવો કર્યો હતો કે, “જ્યારથી અજિત પવાર અને એનસીપીના અન્ય ઘણા નેતાઓ શિંદે સરકારમાં જોડાયા ત્યારથી શિંદે કેમ્પના ૧૭ થી ૧૮ ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે.” સંજય રાઉતના નજીકના સહયોગી અને લોક્સભા સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે એનસીપીના બળવાખોર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા બાદ શિંદે જૂથના ઘણા ધારાસભ્યો બળવાખોર થઈ ગયા છે અને ‘બળવો’ શરૂ કરી દીધો છે.
જોકે રાઉતે કોઈનું નામ લીધા વગર દાવો કર્યો હતો કે, “જેઓ મંત્રી બનવા માંગતા હતા પરંતુ બની શક્યા નથી, અથવા જેઓ આગામી કેબિનેટ વિસ્તરણમાં મંત્રીપદ ગુમાવવાનો ડર છે, તેઓ અમારા સંપર્કમાં છે.”
તેમણે કહ્યું, “જે દિવસથી અજિત તેમની પાર્ટી સામે બળવો કરીને સરકારમાં જોડાયો, એકનાથ શિંદે જૂથના ઘણા ધારાસભ્યો બળવાખોર મૂડમાં આવી ગયા. ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના શિંદે જૂથના કેટલાક ધારાસભ્યો સતત સંદેશા મોકલી રહ્યા છે કે તેઓ ‘માતોશ્રી’ની માફી માંગવા માંગે છે અને તેઓ ફરીથી (વાપસી) કરવા માંગે છે.”
જોકે, શિવસેના શિંદે જૂથના નાયબ નેતા અને રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે આવા કોઈપણ દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે હકીક્ત એ છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૩માંથી ૬ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો હતો કે ગઈકાલે જ ત્રણથી ચાર ધારાસભ્યોએ અમારી સાથે વાત કરી હતી.
સંજય રાઉતે એમ પણ કહ્યું કે શિંદે સરકાર પાસે પહેલાથી જ બહુમતી હતી અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો મોટો જૂથ તેમાં જોડાયો છે. મતલબ કે શિંદેની આગેવાની હેઠળની સેનાની હવે જરૂર નથી. તેમણે ફરી એકવાર દાવો કર્યો કે મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે.