શિક્ષણ મંત્રી ના અધ્યક્ષસ્થાને કડાણા તાલુકાના દેદાવાડા પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

મહીસાગર, ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના દેદાવાડા પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સહિતની યોજનાઓ વડે દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. લોકોનું જીવન સુખમય બને લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે આજે સરકાર નાગરિકોના આંગણે પહોંચી છે અને લાભાર્થીઓને વિવિધ યોજનાકિય લાભો પહોંચાડી રહી છે. નાગરિકો પણ જાગૃત બની સરકારને સહયોગ કરે તો સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષમાન કાર્ડ, પૂર્ણાં યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે સાથે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન, રથના ઇનચાર્જ ભરતભાઈ પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.