શરદ પવારના પૌત્રની કંપની પર ઈડીના દરોડા, ૫૦૦૦ કરોડના બેંક કૌભાંડ સાથે જોડાયેલી કડીઓ

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દેશભરમાં જોરદાર કાર્યવાહી કરી રહ્યું છે. હરિયાણા અને પશ્ચિમ બંગાળ બાદ ઈડીએ મહારાષ્ટ્રના પુણે બારામતીમાં દરોડા પાડ્યા છે. ઈડીએ બારામતી એગ્રો સામે કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલા ૫ હજાર કરોડ રૂપિયાના કૌભાંડને લઈને ઈડીની આ દરોડા પાડવામાં આવી રહી છે. આ બાબત પર નજર રાખી રહેલા લોકોના જણાવ્યા અનુસાર બારામતી એગ્રોએ બેંકમાંથી મોટા પાયે લોન લીધી હતી. વર્ષ ૨૦૧૯માં, મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં અજિત પવાર અને અન્ય ૭૦ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. બાદમાં આ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ મહારાષ્ટ્ર પોલીસે રૂ. ૫૦૦૦ કરોડના આ કૌભાંડમાં શરદ પવાર અને અજિત પવારનું નામ જાહેર કર્યું હતું. જોકે મુંબઈ પોલીસે પુરાવાના અભાવે કેસ બંધ કરી દીધો હતો. એટલે કે, તેણે આ કેસને લઈને તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જો કે, તે સમયે પણ, ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ કરોડો રૂપિયાના મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં મુંબઈ પોલીસના ક્લોઝર રિપોર્ટનો સખત વિરોધ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલામાં શરદ પવાર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નજીક હતા અને તેમણે બારામતી એગ્રો સહિત ઘણી કંપનીઓને લોન આપી હતી જે નાદાર થઈ ગઈ હતી. આ મામલામાં ED પહેલા જ જરાંદેશ્ર્વર સુગર મિલને સીલ કરી ચૂકી છે. બારામતી એગ્રો શરદ પવારના પરિવાર દ્વારા સંચાલિત કંપની છે. તમને જણાવી દઈએ કે EDના દરોડાના સમાચાર સામે આવ્યા બાદ રોહિત પવારે પોતાના ટ્વીટમાં કહ્યું કે મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે, તેથી દરેક વ્યક્તિએ મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈને સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ.