
મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એનસીપી વડા શરદ પવારના નજીકના સહયોગી અને તેમની પાર્ટીના પૂર્વ ખજાનચીના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ ગઈકાલે કહ્યું કે, તેણે મની લોન્ડરિંગ અને બેંક લોન ફ્રોડ કેસ મામલે એનસીપીના પૂર્વ ખજાનચી ઈશ્ર્વરલાલ જૈન, તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલી કંપનીઓના પરિસરમાં તપાસ હાથ ધરી છે. સર્ચ દરમિયાન ૧.૧ કરોડ રૂપિયા રોકડા અને લગભગ ૨૫ કરોડ રૂપિયાની કિંમતના ૩૯ કિલો સોના-હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.
ઈડીના સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવ, નાસિક અને થાણેમાં જૈનોના ૧૩ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન, ઈડી અધિકારીઓએ મોબાઇલ ફોનમાંથી દસ્તાવેજો મેળવ્યા છે જે જૈનના પુત્ર મનીષ દ્વારા નિયંત્રિત રિયલ્ટી ફર્મમાં લક્ઝમબર્ગ યુનિટમાંથી ૫૦ મિલિયન યુરોની એફડીઆઇ ઓફર સૂચવે છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, જલગાંવમાં ૨ બેનામી મિલક્તો ઉપરાંત, રાજમલ લખીચંદ જૂથની ૫૦ કરોડથી વધુની કિંમતની ૬૦ મિલક્તોની વિગતો પણ દરોડામાં એકત્રિત કરવામાં આવી છે.
ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૈન દ્વારા નિયંત્રિત ૩ જ્વેલરી કંપનીઓના ખાતાઓની તપાસ દરમિયાન, તેઓએ જોયું કે લોન રાજમલ લખીચંદ જૂથ સાથે સંકળાયેલી પાર્ટીઓ દ્વારા બનાવટી ખરીદ-વેચાણ સોદાના જટિલ વેબ દ્વારા આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈના દિલ્હી યુનિટે રાજમલ લખીચંદ જ્વેલર્સ, આરએલ ગોલ્ડ અને મનરાજ જ્વેલર્સ અને તેના પ્રમોટર્સ – ઈશ્ર્વરલાલ જૈન, મનીષ જૈન અને તેમના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ત્રણ બેંક ફ્રોડ કેસ નોંધ્યા હતા. એવો આરોપ છે કે જૈને કથિત રીતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ૩૫૩ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેને ચૂકવી નથી. આ FIR ના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.