શહેરાના નરસાણા ગામેથી પસાર થતી નદીમાંથી આધેડની લાશ મળી આવી

શહેરા તાલુકાના નરસાણા ગામ પાસે પસાર થતી ચીકણી નદી પર આવેલા ચેકડેમ પરથી સ્થાનિક ગ્રામજનની લાશ મળી આવી હતી.સ્થાનિક તરવૈયાની મદદથી 50 વર્ષીય આધેડની લાશને બહાર કાઢીને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકામાં રવિવારના રોજ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે તાલુકાના નરસાણા ગામમાંથી પસાર થતી ચીકણી નદી ઉપર બાંધવામાં આવેલા ચેકડેમ ઉપર એક પુરૂષની લાશ મળી આવી હતી.ઘટનાની જાણ અહીંથી પસાર થતાં સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી,ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી, નદીમાંથી મળી આવેલ લાશની ઓળખ કરાતા નરસાણા ગામના નાળા ફળીયામાં રહેતા 50 વર્ષીય અર્જુનભાઈ સાલમભાઈ પરમારની હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ અર્જુનભાઈ પરમાર શનિવારની સાંજે ઘરેથી નીકળ્યા હતા,ત્યારબાદ કોઈક કારણોસર તેઓ ચીકણી નદીમાં પડતાં નદીમાં પાણી વધુ હોવાથી તેઓનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું,જેઓની લાશ આજે ચીકણી પર બાંધવામાં આવેલા ચેકડેમ પરથી મળી આવી હતી. પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.