શહેરાના મીઠાલી ગામમાં પાણી પુરવઠાની અનેક યોજના છતાં લોકોને પીવાના પાણીની સમસ્યા

શહેરા,શહેરા તાલુકાના મીઠાલી ગામ એક અને બે ખાતે પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં અહીંના લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે.મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેડ પંપ ખાતે જવું પડતું હોય છે. જોકે મીઠાલી બે માં આવેલા ઘરોની બહાર નળ તો જોવા મળી રહ્યા હોય પણ એમાં તો પાણી આવતું નથી. જ્યારે હેડ પંપ માં પાણી આવે તો થોડીવારમાં બંધ થઈ જતું હોય અને અમુક હેડ પંપ નાણાપંચના હોવાથી રજૂઆત કરવા છતાં રીપેરીંગ કરવામાં આવી રહ્યા નથી. જ્યારે કુવાના સ્તર ઊંડા જઈ રહ્યા હોવા સાથે ખેતીમાં માટે પણ જોઈએ તેટલું પાણી નહીં મળતા જમીનમાં તિરાડો પડી રહી છે. પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડી રહી છે.

શહેરા તાલુકાના મીઠાલી ગામ એક અને બે ની વસ્તી અંદાજીત 3200 કરતાં વધુ છે. અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ભગત ફળીયુ, ચુલડીયા ફળિયુ, બારીયા ફળિયું, તલાવડી ફળિયા સહિત અન્ય વિસ્તારના ગ્રામજનો હેરાન પરેશાન છે. પાણી પુરવઠા નું પાણી અહી નહિ મળતા ના છૂટકે મહિલાઓ પીવાના પાણી ભરવા ગામમાં આવેલા હેન્ડપંપ ખાતે જતા હોય છે. જ્યારે આ ગામના જે વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. ત્યાંની મહિલાઓ ના છૂટકે તાપમાં પણ અમુક મહિલાઓ ચંપલ પહેર્યા વગર હેડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય ત્યારે તંત્ર સામે ભારે આક્રોશ પણ જોવા મળતો હોય તો નવાઈ નહી. જ્યારે મહિલાઓ ત્યાં પીવાનુ પાણી ભરતા હોય અને લાંબી લાઈનો લાગવા સાથે પાણી ભરવા પડાપડીના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. જ્યારે અમુક હેડ પંપ માં પાણી થોડી વાર આવીને બંધ થઈ જવા સાથે અમુક હેડ પંપ બંધ હાલતમાં છે. જોકે, મીઠાલી બે માં ઘરની બહાર નળ તો જોવા મળતો હોય પરંતુ એમાં પણ પાણી આવી રહ્યું નથી. આ ગામની મહિલાઓ પીવાના પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેવી આશા પણ સબંધિત તંત્ર પાસે રાખી રહયા છે. આ ગામમાં પાણી પુરવઠા ની અનેક યોજના હોવા સાથે ત્રણ સંપ પાણીના જોવા મળતા હોય તેમ છતાં આ ગામના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો અને ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓ હેરાન પરેશાન થતી હોય અને પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડતુ હોય છે. આ ગામમાં કૂવામા પાણીનાં સ્તર ઊંડા જઈ રહ્યા હોવા સાથે ખેતી માટે પણ પાણી જરૂરિયાત મુજબ ન મળતા જમીનમાં તિરાડો પડેલ દ્રશ્યો નજરે પડી રહ્યા હતા અને બીજી તરફ પશુઓને પણ પાણી અને ઘાસચારા માટે તકલીફ પડવા સાથે ખેડૂત હોય કે પછી પશુપાલક કે પછી ગ્રામજનો પાણી નામના શબ્દથી હેરાન પરેશાન હોય એમ કહીએ તો નવાઈ નહી. રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે એ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો આપતા હોય પણ સમય જતા તંત્રના સરકારી બાબૂઓની બેદરકારીના કારણે કે પછી આ તરફ ધ્યાનના આપવાથી યોજના જોઈએ તેટલી સાર્થક થઇ શકતી નથી.