શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ:ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની

  • રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે ખાનપુર પ્રાથમિક શાળા,મોરવા હડફ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો.
  • મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા.
  • આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો.

ગોધરા, આજ રોજ ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં 152 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જીલ્લાના મોરવા હડફ તાલુકાની ખાનપુર પ્રાથમિક શાળા ખાતેથી પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં 34 અને ધોરણ-1માં 12 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી.

શાળા પ્રવેશોત્સવ-2023ના શુભારંભ પ્રસંગે મંત્રીએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી આજે એક ઉત્સવના ભાગરૂપે આ મહોત્સવ ઉજવાય છે. કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તથા નવી શિક્ષણ નીતિનો અમલ થઈ રહ્યો છે. વર્ષ 2009માં સરકારએ ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો તથા બાળકના અભ્યાસનું મૂલ્યાંકન કરવાની પણ શરૂઆત કરાવી હતી. આજે શાળાઓમાં ડિજીટલ માળખાની સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ, લેબ, રમતગમતનું મેદાન, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ વગેરે સુવિધાઓ થકી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આ સાથે મંત્રી અને મહાનુભાવોએ શાળામાં વૃક્ષારોપણ કરીને એસ.એમ.સી કમિટીની બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે ગામના સરપંચ,તાલુકા પંચાયતના સભ્ય સહિત એસ.એમ.સી સમિતિના સભ્યો, ગ્રામ લોકો અને શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.