આફત અનરાધાર:સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા દિવસથી વરસી રહેલો કમોસમી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો.

  • ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ,અમરેલીમાં સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ.

ભાવનગર,સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા દિવસથી વરસી રહેલો કમોસમી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં તો બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ અમરેલીના રાજુલા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.

ભાવનગર શહેરના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કુંભારવાડા, મોતી તળાવ, સુભાષનગર, ધોધા સર્કલ, શિવાજી સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

અમરેલી જિલ્લામાં આજે બપોરના સમયે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજુલા પંથકમાં બપોરના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયાં હતાં. તો જાફરાબાદના નાગેશ્રી, કાગવદર, ભટવદર સહિતના વિસ્તારમાં અને સાવરકુંડલાના ચીખલી, વીજપડી, ભમર, ધાંડલા, આંબરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

ધારી પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે ધારીના નાગધ્રા, કાંગસા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા ગામડાના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.

સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં આકરો તાપ પડતો હોય છે અને લોકો ગરમીનો અનુભવ કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સતત વાદળછાયું વાતાવરણ રહેતા અને વરસાદ વરસવાના કારણે હાલ લોકો આકરી ગરમીના બદલે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. જો કે, વાતાવરણના આ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતા લોકોમાં દોડધામ જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે માવઠું થયું હતું. ત્યારબાદ આજે બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યાં હતાં. શહેરમાં ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે બપોરના સમયે અચાનક વરસાદી ઝાપટાં વરસતા રસ્તા પર લોકોમાં દોડધામ જોવા મળી હતી. ગુજરાતના અન્ય જિલ્લાની માફક સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ચોટીલામાં પવન સાથે વરસાદ વરસવાના કારણે ખેતીમાં ઊભા પાકને નુક્સાન થયું હતું. ઊભો પાક નાશ પામતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

દરમિયાન માવઠાથી થયેલ નુક્સાનનું વળતર ના મળતા ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવા સરકાર સામે માંગ કરી છે. ૩ વર્ષમાં ૮ વખત માવઠું થયું પણ વળતર ના મળ્યાના આક્ષેપ ખેડૂતોએ કર્યો. ખેડૂતોએ કહ્યું કે, ચાલુ વર્ષે માવઠાથી પાકને ભારે નુક્સાન થયું છે. સરકાર આશ્ર્વાસન આપે છે પણ વળતર નથી આપતું. નુક્સાની અંગે યોગ્ય રીતે સર્વે પણ નથી કરાતો. તાત્કાલિક ખેડૂતોને વળતરના રૂપિયા મળવા જોઈએ.