સાસરિયાના ત્રાસથી બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી

લીમખેડા,

લીમખેડા તાલુકાના ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી ૧૨માં ધોરણ સુધી ભણેલી પરીણિતા જયાબેન કલ્પેશભાઈ બારીયાએ ગત ૧૮ મી માર્ચ શનિવારના રોજ વહેલી સવારે કોઈક અગમ્ય કારણસર મનમાં લાગી આવતા પોતાની ૫ વર્ષની દીકરી પ્રજ્ઞાબેન તથા ૨ વર્ષની દીકરી મેઘાબેનને સાથે રાખી પોતાની તથા બંને સંતાનોની જીવનલીલાનો અંત આણવાના ઇરાદે ઉમરીયા ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું. આ બાબતની જાણ ટીંબા ગામમાં તથા જયાબેનના પિયર કુંડલી ગામમાં વાયુવેગે પ્રસરતા ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે નરવતભાઈ બારીયાની ફરિયાદના આધારે અકસ્માતે મોત મુજબનો ગુનો નોંધયો હતો. ૨ વર્ષની બાળકી મેઘાબેનનો મૃતદેહ શનિવારે જ ડેમના પાણીના કિનારા ઉપરથી મળી આવ્યો હતો.જ્યારે ૫ વર્ષની બાળકી પ્રજ્ઞાબેનનો મૃતદેહ દેવગઢબારિયા ફાયરબ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી સોમવારે સવારે મળી આવી આવી હતી. જયાબેનની લાશ મોડી સાંજે પાણી ઉપર આવતાં મૃતદેહના પીએમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આત્મહત્યા કરનાર જયાબેનના પિતા શનાભાઇ મુળાભાઈ પાંડોરે જણાવ્યું હતું કે. જયાબેનનો લગ્ન સંસાર સારો ચાલતો હતો પરંતુ ત્રણેક વર્ષ બાદ તેને પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી દ્વારા અસહ્ય ત્રાસ આપતા હોવાથી જયાબેન રિસાઈને પિયર આવી હતી.જે બાબતે લીમખેડા પોલીસ મથકે જયાબેને લેખિત અરજી આપતાં પોલીસે સાસરિયાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.બાદ કુંડલી તથા ટીંબા ગામના આગેવાનોની હાજરીમાં પંચરાહે નિકાલ થતા જયાબેનને પાછી સાસરીમાં મોકલાઇ હતી. આ બનાવના એક દિવસ પૂર્વે ૧૭મી માર્ચના રોજ સાંજે જયાબેને અન્ય વ્યક્તિના મોબાઈલથી પિતાને ફોન કરી પોતાના મોબાઈલમાં રિચાર્જ કરવાનું જણાવી ઘરમાં બધા બહુ ઝઘડા કરે છે તેવી હૈયાવરાળ પિતા સમક્ષ ઠાલવી હતી. પિતા શનાભાઇ પાંડોરે તટસ્થ પોલીસ તપાસની માગ કરી છે.