સરસ્વાના સ્મશાન રસ્તાને સરપંચ દ્વારા બંધ કરાતા સ્મશાન યાત્રા જવામાં મુશ્કેલી ઉભી થતાં મામલતદારને રજુઆત માટે ડાઘુઓ પહોંચ્યા

ઘોઘંબા,

સરસ્વાના સ્મશાન તરફ વર્ષો જુનો મેટલનો રસ્તો હતો. જે રસ્તો ગામના સરપંચ દ્વારા અવર જવર માટે બંધ કરી ફેન્સિંગ મારી દેવાના સાથે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્મશાનમાં જવાના રસ્તા અંગેનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. ત્યારે ગામ લોકો દ્વારા મામલતદારને આવેદન પણ આપ્યુ હતુ. ગામના યુવાનનુ મૃત્યુ થતાં તેની અંતિમયાત્રા તરફ જતા રસ્તામાં ફેન્સિંગ હોવાથી યાત્રા રોકાઈ ગઈ હતી. ત્યારે ડાઘુઓ દ્વારા હોબાળો મચાવીને રસ્તા વચ્ચેની ફેન્સિંગ તોડી નાંખીને સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ હતી. રાત્રે સરપંચના પિતા દ્વારા રાતોરાત ફરીથી રસ્તા વચ્ચે ફેન્સિંગ કરીને ફરીથી રસ્તો બંધ કરી દીધો હતો. ગામમાં બીજા દિવસે મહિલાનુ મૃત્યુ થતાં સ્મશાનમાં જવા અંતિમયાત્રા નીકળતા ફરીથી ફેન્સિંગ કરી રસ્તો બંધ કરાતા અંતિમયાત્રા રોકાઈ ગઈ હતી. લોકો સ્મશાનમાં લઈ જવાની વિધિ અધુરી મુકીને સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવા ઘોઘંબા ટીડીઓ પાસે આવ્યા હતા. રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તલાટી, પીટીઓ વર્ષાબેને અને રાજગઢ પીએસઆઈ દ્વારા લોકોને સમજાવ્યા હતા. પરંતુ સ્મશાનમાં જવાનો રસ્તો ખોલી આપવા વિરોધ પ્રદર્શન કરતા ગ્રામજનોની માંગણીથી અને રસ્તા વચ્ચે મુકેલ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે રાજગઢ પીએસઆઈ તેમજ ટીડીઓ તેમજ તલાટીની હાજરીમાં મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવા માટે ફેન્સિંગ હટાવીને રસ્તો કરી આપ્યો હતો. જયારે રસ્તા માટે જગ્યા આપનાર હાલોલના જમીન માલિકે જણાવ્યુ હતુ કે, ગ્રામજનોને સ્મશાનમાં જવા માટે મારી જગ્યામાંથી રોડ પણ બનાવે તો મને વાંધી નથી પરંતુ મારી જગ્યા પચાવી પાડવા મેં કોર્ટમાં કેસ દાખલ કરેલ તેમ જણાવ્યુ હતુ.