સંજેલી પુષ્પસાગર તળાવમાં પાણી સુકાઈ જતા ગ્રામજનોને હાલાકી

સંજેલી, સંજેલી નગરમાં પુષ્પસાગર તળાવમાં પાણી સુકાઈ જતા ગામલોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સંજેલી નગરમાં આવેલ પુષ્પસાગર તળાવ સ્ટેટ સમયનુ તળાવ છે. એક સમયે આ તળાવમાં કમળકાકડી અને સીંગોડાનુ મોટાપાયે ઉત્પાદન કરવામાં આવતુ હતુ અને ગ્રામ પંચાયતને સારી આવક પણ આવતી હતી. ઉનાળામાં તળાવો ઉંડા કરવાની સરકારી યોજનામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થઈ જતા હોય છે. આખરે જે પાણી ભરેલા તળાવો આસપાસના 1 કિ.મી.સુધીના કુવાઓ અને ખેતરો માટે આર્શિવાદરૂપ હોય છે. તે કમનસીબે ખેડુતો માટે નિરાશારૂપ બની જતા હોય છે. ભર ઉનાળામાં આવા તળાવોને કડાણા ડેમના પાણીથી ભરવાની જરૂર હતી. તેમ છતાંય કોઈપણ નેતાઓને સંજેલી તાલુકાના આવા તળાવ જે પંચાયતોને મોટી આવક ઉભી કરી આપે છે તેને ભરવા માટે કોઈને પણ ફુરસત મળતી નથી. ત્યારે હાલમાં કુદરતી વરસાદની રાહ જોઈને બેઠેલા આ પુષ્પસાગર તળાવના પાણી સુકાઈ ગયા છે. સંજેલી નગરના લોકોને પીવાના પાણી માટે તેમજ બહેનોને કપડા-વાસણો ધોવાના પાણી પણ વેચાતા ટેન્કરો વાળા પાસેથી લેવાનો વારો આવ્યો છે.