સમાજો વચ્ચે ભાઈચારો અને પ્રેમ છે : કંઈપણ બોલતા પહેલા વિચારવું જોઈએ: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ, ગુજરાતમાં આહીર સમાજ અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવામાં હતી. જેના કારણે બંને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું. ગીગા ભમ્મરે કરેલી ટિપ્પણી અને ઈન્ડિયા ગઠબંધનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે.

ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે ધામક પ્રસંગમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા કોઈની પણ લાગણી ન દુભાય તે બિલકુલ જોવું જોઈએ. આપણે ત્યાં સમાજો વચ્ચે ભાઈચારો,એક્તા અને પ્રેમ છે. જુદા-જુદા વર્ગ, ધર્મ, જ્ઞાતીના લોકો પરીવારની જેમ રહેતા હોય છે. કોઈ પણ સમાજની લાગણીને ઠેસ ન પહોંચે તેની દરેકની જવાબદારી છે અને એ જવાબદારીનું બધા જ વહન કરશે. બોટાદ આપના ધારાસભ્ય દ્વારા લોક્સભાના ઉમેદવારોને લઈને અપાયેલા નિવેદનને મામલે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાને કે પછી મને કોઈ ઉમેદવારો નક્કી કરવાની સત્તા નથી. લોક્સભાના ઉમેદવારોનો નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએથી જ નક્કી થશે. આખરી નિર્ણય મોવડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે તે અમને બધાને સ્વીકાર્ય રહેશે.

ગઢવી સમાજના તળાજા વિસ્તારના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તથા અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા પણ ગીગા ભમ્મર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ચારણ-ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. તો કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ અપાઈ છે. આ અંગે વિવાદ વધતા ગીગા ભમ્મરના પુત્રએ વીડિયો દ્વારા માફી માંગી હતી.