સાજીવાવમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત

શહેરા સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે અને તાલુકામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે માટીના મકાનો ધરાશાયી થયા હોવાના બનાવ બન્યા છે. ત્યારે શહેરા તાલુકાના સાજીવાવ ગામે આવેલ છાયાણા ફળિયામાં રહેતી 50 વર્ષીય માલીબેન રયજીભાઈ બારીયા નામની મહિલાના કાચા મકાનની દિવાલ અચાનક ધરાસાઈ થઈ હતી.

મકાનની દીવાલ ધરાસાઈ થતાં મકાનમાં હાજર માલીબેન બારીઆ દિવાલ નીચે દબાઈ જતાં તેઓને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયતના તલાટી સહિત પોલીસને કરાતા ઘટનાસ્થળે દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાલ ધરાસાઈ થતાં મહિલાનું મોત થવા બાબતે શહેરા પોલીસ મથકે મૃતક મહિલાના ભત્રીજા પ્રવિણ બળવંત બારીઆએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.