રાજદના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ ડબલ મર્ડર કેસમાં દોષિત

નવીદિલ્હી, રાજદના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે પ્રભુનાથ સિંહને મુક્ત કર્યા હતા.

આ પછી પટના હાઈકોર્ટે પણ મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથને દોષિત ઠેરવ્યા છે અને તેમને ૧ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. સુપ્રીમે બિહારના ડીજીપી અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે પ્રભુનાથને ૧ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવે. ૧ સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પર ચર્ચા થશે. હાલમાં પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.

બિહારની મહારાજગંજ લોક્સભા બેઠક પરથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર ૧૯૯૫માં મસરખમાં મતદાન કેન્દ્ર નજીક ૪૭ વર્ષીય દરોગા રાય અને ૧૮ વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો, તેથી બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ પછી, કેસને છપરાથી પટના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી થઈ હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦૧૨માં પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી, મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. સુપ્રિમ કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.