રમઝાન મહિના દરમિયાન અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટિનિયનોના પ્રવેશને મર્યાદિત કરશે

તેલઅવીવ, રમઝાન મહિનાની શરૂઆત પહેલા જ ઈઝરાયેલે મસ્જિદ અલ-અક્સામાં પેલેસ્ટિનિયનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાની વાત કરી છે. બીજી તરફ, હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાએ પેલેસ્ટાઈનીઓને રમઝાનના પહેલા દિવસે પશ્ર્ચિમ કાંઠેથી અલ-અક્સા મસ્જિદ સુધી કૂચ કરવાની અપીલ કરી છે. હમાસના નેતાએ એક ટેલિવિઝન ચેનલ દ્વારા આ અપીલ કરી હતી અને સુરક્ષાના કારણોસર મસ્જિદ અલ-અક્સા પર પ્રતિબંધ લાદવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. આગામી ૧૦ કે ૧૧ માર્ચથી પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે, જેના માટે સમગ્ર વિશ્ર્વમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

એક નિવેદનમાં હાનિયાએ કહ્યું, “અલ-અક્સા મસ્જિદ અને અન્ય પવિત્ર સ્થળોનું સંચાલન આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર થવું જોઈએ. અમારા લોકો તેમની મસ્જિદો અને ચર્ચોને બચાવવા માટે દરેક રીતે પ્રતિકાર કરશે. હાનિયાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે વેસ્ટ બેંક પર હુમલો કરીને પેલેસ્ટાઈનીઓને બહાર કાઢવાની ઈઝરાયેલની યોજનાનો એક ભાગ છે. ઘણા વર્ષોથી, રમઝાનમાં પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલી દળો વચ્ચે અથડામણ જોવા મળી છે, આ વખતે રમઝાન પેલેસ્ટિનિયનો માટે વધુ હિંસક બનવાની અપેક્ષા છે.

ઑક્ટોબર ૭ પછી, ઇઝરાયેલે માત્ર ગાઝા વિરુદ્ધ જ નહીં પરંતુ વેસ્ટ બેંકમાં રહેતા પેલેસ્ટિનિયનો વિરુદ્ધ પણ તેની કાર્યવાહી તેજ કરી છે. જેનિન કેમ્પ સિવાય ઈઝરાયલના સુરક્ષા દળોએ વેસ્ટ-બેંકમાં અનેક પેલેસ્ટિનિયન વસાહતો પર દરોડા પાડ્યા છે અને લોકોની ધરપકડ કરી છે. ઑક્ટોબર ૭ થી, પશ્ર્ચિમ કાંઠે ઇઝરાયેલી દળો અને પેલેસ્ટિનિયનો વચ્ચેની અથડામણમાં લગભગ ૪૧૦ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ ૪,૬૦૦ ઘાયલ થયા છે.

યુદ્ધવિરામ પર ચાલી રહેલી વાટાઘાટો પર હમાસ નેતાએ કહ્યું કે હમાસ યુદ્ધવિરામ માટે વાતચીતમાં નરમાશ બતાવી રહ્યું છે પરંતુ સાથે જ તે લડાઈ ચાલુ રાખવા માટે પણ તૈયાર છે. ઈજિપ્ત અને ક્તારની ચેનલો દ્વારા ગાઝા યુદ્ધવિરામને લઈને છેલ્લા એક મહિનાથી વાતચીત ચાલી રહી છે.રિપોર્ટ્સ અનુસાર, ૪૦ દિવસના યુદ્ધવિરામ માટેનો ડ્રાટ હમાસને સોંપવામાં આવ્યો છે જેનો તેઓ અભ્યાસ કરી રહ્યા છે. યુદ્ધવિરામના મુસદ્દામાં, ૪૦ ઇઝરાયેલી બંધકોની મુક્તિના બદલામાં ૪૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ સિવાય ડ્રાટમાં ગાઝાના રહેવાસીઓને ઉત્તરી ગાઝા પાછા મોકલવા અને ગાઝામાં એડ ટ્રકના પ્રવેશનો પણ સમાવેશ થાય છે.