‘રામ તો આપણા બધાના આરાધ્ય છે’,કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદ

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાશે. જો કે, રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યોજાઈ રહેલા કાર્યક્રમ પર રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજર આપવાનો ઇનકાર કર્યો છે અને આમંત્રણને નકાર્યું છે. જો કે, રાજકીય ઘમાસાણ વચ્ચે હવે કોંગ્રેસના (Congress) ભૂતપૂર્વ ધારાસભ્ય ઇમરાન મસૂદનું (Imran Masood) એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણને કેટલીક વિપક્ષી પાર્ટીઓ દ્વારા નકારવામાં આવતા બીજેપી નેતાઓ દ્વારા આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) પણ અડધા નિર્માણકાર્ય અને શંકરાચાર્યોની આપત્તિને ટાંકીને બીજેપી (BJP) પર પલટવાર કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઇમરાન મસૂદનું ( Imran Masood) નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે, ભગવાન શ્રીરામ આપણા બધાના આરાધ્ય છે.

કોંગ્રેસના સંવાદ અને કાર્યશાળા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઈમરાન મસૂદ (Imran Masood) મેરઠ પહોંચ્યા હતા. અહીં, તેમણે કહ્યું હતું કે, આપણે બધા રામના વંશજ છીએ. ભગવાન રામ કરોડો લોકોની આસ્થાનું ‘પ્રતિક’ છે. તેમણે કહ્યું કે, મંદિર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. આ સાથે ઇમરાન મસૂદે બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, રામ તો બોલાવવાવાળા છે. રામજીને લાવનાર આ લોકો ક્યાંથી આવ્યા? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમે રામમાં માનનારા છીએ. ઇમરાન મસૂદે કહ્યું કે, જે સન્માન યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય, પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેયના મનમાં છે, તે જ સન્માન ઇમરાન મસૂદના મનમાં પણ છે. ઉલ્લેખનીય છે કે, ઇમરાન મસૂદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જયારે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી દૂરી બનાવી છે.