રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું, માત્ર એક જ દિવસમાં રૂ. ૩ કરોડ ૧૭ લાખનો ચઢાવો રામલલાને અર્પણ

  • 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ મળ્યું રેકોર્ડબ્રેક દાન 
  • રામમંદિરમાં રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો
  • પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, 23 જાન્યુઆરી મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા. દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ તૈયાર કરી છે. તેમણે અયોધ્યાની આસપાસના સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને સુવ્યવસ્થિત મંદિર દર્શન કરાવવામાં સહકાર આપવા સૂચના આપી છે.