રાજ્યપાલ વિરુદ્ધ જાતીય સતામણી મામલે મહિલા કર્મચારી સુપ્રીમ કોર્ટ પહોંચી

પશ્ર્ચિમ બંગાળના રાજભવનમાં કામ કરતી હંગામી મહિલા કોન્ટ્રાક્ટ કર્મચારીએ ૨ મેના રોજ રાજ્યપાલ સીવી આનંદ બોઝ સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મામલે રાજ્યમાં રાજકીય બબાલ પણ થઈ હતી. રાજ્યના વડા મમતા બેનર્જીએ પોતે એક સભાને સંબોધિત કરતી વખતે રાજ્યપાલ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ રાજ્યપાલ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે હવે કોઈ પણ મહિલા કર્મચારી રાજભવન જતા ડરે છે અને મહિલા કર્મચારીઓએ પોતે આ અંગે તેમને ફરિયાદ કરી છે.

આ ઉપરાંત મમતા બેનર્જીએ કોન્ટ્રાક્ટવાળી મહિલા કર્મચારીના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે બાદ રાજ્યપાલ આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ બધા વચ્ચે મહિલા કર્મચારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયની આજીજી કરી છે. સમગ્ર મામલામાં દખલગીરીની માંગ કરવા ઉપરાંત રાજ્યપાલે બંધારણની કલમ ૩૬૧ હેઠળ અપરાધિક મામલામાં આપવામાં આવેલી છૂટને પણ પડકારી છે.

તમને જણાવી દઈએ કે રાજભવનમાં કામ કરતી એક હંગામી મહિલા કોન્ટ્રાક્ટ કર્મચારીએ અરજીમાં કહ્યું છે કે જ્યારે તે પોતાની નોકરીને કાયમી કરવાની માંગ સાથે રાજ્યપાલને મળવા રાજભવન પહોંચી તો તેનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું. મહિલાએ ૨ મેના રોજ રાજ્યપાલ આનંદ બોઝ પર આ આરોપ લગાવ્યો હતો. જેની સામે મહિલાએ રાજ્યપાલ પાસે કાર્યવાહીની માંગ કરી છે. બંગાળ પોલીસને આ અંગે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે અને મહિલાએ પોતાની અને તેના પરિવારની સુરક્ષાની પણ માંગણી કરી છે. સાથે જ બદનક્ષી અંગે સરકાર પાસે વળતરની પણ માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે બંધારણના અનુચ્છેદ ૩૬૧ હેઠળ દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને બંધારણીય વડા માનવામાં આવે છે અને તેમને સિવિલ અને ફોજદારી મામલામાં બંધારણીય સુરક્ષા આપવામાં આવી છે. આ મુજબ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામે તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ પ્રકારની ગુનાહિત કાર્યવાહી થઈ શકશે નહીં જેથી તેઓ કોઈપણ ડર વિના પોતાનું કામ ઈમાનદારીથી કરી શકે.