રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, નલિયામાં ૧૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ

અમદાવાદ, રાજ્યમાં આજે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે આજે અમદાવાદ, અમરેલી, કચ્છ,મોરબી,નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ૧૪ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ૧૫ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં ૧૬ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું છે. બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ૧૨ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના ૧૦ શહેરોનું તાપમાન ૧૩ ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ ૩ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો ૪.૫ ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ ૯.૮ ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત નલિયામાં ૧૦.૮ અને ડીસામાં ૧૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં સૌથી ઓછું ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૂકા અને ઠંડા પવનના કારણે લોકો વહેલી સવારે ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગર ખાતે સૌથી ઓછું ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આથી ગાંધીનગરમાં મંગળવારે સૌથી વધુ ઠંડી પડી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ, નલિયામાં ૧૦.૮ ડિગ્રી, વડોદરામાં ૧૨.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૦ ડિગ્રી, કેશોદમાં ૧૩.૧ ડિગ્રી, કંડલામાં ૧૨.૭ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૨.૭ ડિગ્રી, અમરેલીમાં ૧૧.૬ ડિગ્રી અને ડીસામાં ૧૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે.

વડોદરાની વાત કરીએ તો ગાઢ ધુમ્મસના કારણે પાંચ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. માહિતી મુજબ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુંની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ્સ કેન્સલ થતા ૧૨૦૦ જેટલા મુસાફરો અટવાયા છે. જ્યારે ગત રવિવારે અને સોમવારે પણ ૬ ફ્લાઈટ કેન્સલ થઈ હતી.