પૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બરતરફ કરી

કેન્દ્ર સરકારે પૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે.આઇએએસ (પ્રોબેશન) નિયમો, ૧૯૫૪ના નિયમ ૧૨ હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ પણ આઇએએસની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંયો હતો.

પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે તે એમ્સમાં તેની વિકલાંગતાની તપાસ કરાવવા માટે તૈયાર છે. પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ખેડકર વતી આ દલીલ દિલ્હી પોલીસના આરોપ પર આપવામાં આવી હતી કે તેમનું વિકલાંગતા પ્રમાણપત્ર નકલી હોઈ શકે છે. ખેડકર પર છેતરપિંડીનો તેમજ અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને વિકલાંગતા ક્વોટાનો ખોટો લાભ લેવાનો પણ આરોપ છે.

છેલ્લી સુનાવણીમાં દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે પૂજા ખેડકરે વિવિધ પ્રકારની વિકલાંગતા દર્શાવવા માટે બે પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી એક નકલી હોઈ શકે છે જ્યારે બીજી બનાવટી હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો છે કે ખેડકરે ૨૦૨૨ અને ૨૦૨૩ માટે બે ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યા છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ૩૧ જુલાઈએ તેમની ઉમેદવારી રદ કરી હતી. આ સાથે તેને ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા પર પણ રોક લગાવવામાં આવી હતી. ખેડકર તેના પર લાગેલા તમામ આરોપોને નકારી રહ્યા છે. ૧ ઓગસ્ટના રોજ દિલ્હીની કોર્ટે ખેડકરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેની સામે ગંભીર આરોપો છે, જેની સંપૂર્ણ તપાસની જરૂર છે. આ પછી ખેડકરે નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે ખેડકરની ધરપકડ પર પહેલા ૫ સપ્ટેમ્બર સુધી અને પછી ૨૬ સપ્ટેમ્બર સુધી રોક લગાવી છે.