
પંજાબના લુધિયાણામાં શિવસેનાના નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા ઉપર નિહંગોએ જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, ત્રણ નિહંગોએ સિવિલ હોસ્પિટલની બહાર જાહેર રસ્તા ઉપર ખુલ્લી તલવાર વડે હુમલો કર્યો હતો. આજુબાજુમાં લોકો હોવા છતાં હુમલાખોરને ભાગી જવામાં સફળતા મળી હતી. સંદીપ થાપરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સંદીપ થાપર શુક્રવારે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોસ્પિટલ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ લોકો એક સ્કૂટર પર આવે છે. જાહેર રસ્તા ઉપર જ વાહનોની અવરજવરથી વ્યસ્ત રોડ ઉપર જ સંદીપ થાપર પર તલવાર વડે હુમલો કરવાનું શરૂ કરે છે. સંદીપ થાપર નીચે પડી જતાં તેમના પર તલવારથી ચારથી પાંચ વાર કરે છે. લોકો દૂરથી તેમને છોડી દેવા બૂમો પાડતા રહ્યા પરંતુ આરોપી જીવલેણ ઘા મારીને સ્કૂટર પર ભાગી જવામાં સફળ રહ્યો છે.
ઘટના સમયે આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. જોકે, આરોપીઓના હાથમાં ધારદાર હથિયારો જોઈને તેમની નજીક જવાની કોઈની હિંમત નહોતી થઈ. આરોપી સંદીપ થાપરને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા પરંતુ તેમની સ્થિતિને યાનમાં રાખીને તેને ડીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, શિવસેના નેતા સંદીપ થાપર અવારનવાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપે છે. પંજાબમાં ખેડૂતોના આંદોલન વિરુદ્ધ પણ નિવેદન આપ્યું હતું. જ્યારે હુમલો થયો ત્યારે થાપરની સાથે તેમનો ગનમેન હતો પરંતુ તેનું કહેવું છે કે, નિહંગોએ તેને પકડી લઈને તેનું હથિયાર પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. થાપરના સમર્થકોએ કહ્યું કે, તેમને ઘણા સમયથી ધમકીઓ મળી રહી હતી છતાં માત્ર એક જ ગનમેન આપવામાં આવ્યો હતો.
ડીસીપી જસકિરણજીત સિંહ તેજાએ જણાવ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. જ્યારે ડીસીપીને થાપરના ગનમેન અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે જો કોઈ બેદરકારી હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિભાગ તેની સામે કાર્યવાહી કરશે.