પ્રાઈવેટ હોસ્પિટલ્સ જમીન તો સબસિડી પર લે છે પણ ગરીબ માટે પથારી નથી રાખતાં

નવીદિલ્હી, સરકાર પાસેથી સબસિડી પર જમીન લઈને બનતી પ્રાઈવેટ હોસ્પિટલો પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, સબસિડી પર જમીન લઈને હોસ્પિટલ બનાવી લે છે પરંતુ ગરીબો માટે બેડ રિઝર્વ રાખવાના વચનનું અમલ નથી કરતા. તેઓ ગરીબ માટે પથારી નથી રાખતા. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પ્રસન્ના બી. વારાલેએ આંખના રોગોની સારવાર માટે સમગ્ર દેશમાં એક સમાન દરના નિર્ણયને પડકારતી અરજી પર આ વાત કહી છે. કોર્ટે કહ્યું કે, આ તમામ પ્રાઈવેટ હોસ્પિટલો જ્યારે સબસિડી પર જમીન લે છે ત્યારે કહે છે કે, અમે ૨૫% બેડ ગરીબો માટે રિઝર્વ રાખીશું પરંતુ આવું ક્યારેય નથી બનતું. આવું અમે અનેક વખત જોયુ છે.

સરકારે આંખના રોગોની સારવાર માટે સમગ્ર દેશમાં એક સમાન દર નક્કી કરવાનો નિર્ણય લીધો છે. ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સ્પેશિયાલિસ્ટ્સના રેટ એક સમાન ન હોઈ શકે. સોસાયટીએ કહ્યું કે, મેટ્રો સિટી અને દૂરના ગામડાઓમાં એક જ દર ન હોઈ શકે. સીનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને એડવોકેટ બી. વિજયલક્ષ્મીએ સોસાયટીનો પક્ષ રાખતા કહ્યું કે, સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. ફી માં દરેક સ્થળે એકરૂપતા યોગ્ય નથી.

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય લેવા માટે નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણી માટે ૧૭ એપ્રિલની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું કે આ કેસની વ્યાપક અસર થશે. જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે, અંતે તમે કેવી રીતે આ પોલિસીને પડકારી શકો છે? ઉદાહરણ તરીકે ઉત્તર-પૂર્વમાં આરોગ્ય સેવાઓના દર ઓછા છે અને જો આ નિયમને નાબૂદ કરવામાં આવશે તો પથી તેના પર અસર થશે. દેશમાં પ્રાઈવેટ હોસ્પિટલોની મોંઘી ફી અને સેવાઓ અંગે અગાઉ પણ લોકો ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વપૂર્ણ અને મોંઘી સ્વાસ્થ્ય સેવાઓનો અરીસો બતાવવા જઈ રહી છે.