રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ભારતનો આભાર માન્યો,લોન ચૂકવવામાં ઘણી મદદ કરી

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ માલદીવ્સની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે. માલદીવ્સના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું કે ભારત અને ચીન બંનેએ માલદીવ્સનું દેવું ચૂકવવામાં ઘણી મદદ કરી છે.

મુઈઝ્ઝુએ આશા વ્યક્ત કરી કે ભારત અને માલદીવ્સ મજબૂત સંબંધો બાંધશે અને મુક્ત વેપાર કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરશે. માલદીવ્સમાં યુએસ ડોલરની અછત અંગે મુઈઝ્ઝુએ કહ્યું કે તેમની સરકાર ભારત અને ચીન સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટની વાત કરી રહી છે.

ભારતે ’નેબર ફર્સ્ટ પોલિસી’ હેઠળ માલદીવ્સને ૪૦૦ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડી છે. માલદીવ્સે આ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભારત લોનની ચુકવણીને સરળ બનાવવામાં મદદ કરશે.રાષ્ટ્રને તેમના સંબોધનમાં, રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ માલદીવ્સની વિદેશ નીતિની પ્રશંસા કરી અને તેમની સરકારની ૮ મહિનાની ’રાજનૈતિક સફળતા’ની પણ ઉજવણી કરી.

રિપોર્ટ અનુસાર, થોડા મહિનાઓ પહેલા આઇએમએફએ માલદીવ્સને ચેતવણી આપી હતી કે જો તે તેની આથક નીતિમાં ફેરફાર નહીં કરે તો તેને દેવાને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા શુક્રવારે એક બેઠકમાં મુઈઝ્ઝુએ કહ્યું હતું કે ચીને પાંચ વર્ષ સુધીની લોનની ચુકવણીમાં રાહત આપી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવ્સમાં ’ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા મોહમ્મદ મુઈઝ્ઝુના સત્તામાં આવ્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે. આનાથી માલદીવ્સના પ્રવાસન ક્ષેત્રને નુક્સાન થઈ રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ માલદીવ્સમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બંને દેશો વચ્ચેના તણાવને દૂર કરવા માટે માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલ ભારતની મુલાકાતે છે.