ગરીબીના નામે વોટ માંગી કોંગ્રેસે ગરીબોને લૂંટ્યા; ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા

  • પ્રધાનમંત્રી સુશાસનના નવ વર્ષમાં ગરીબ કલ્યાણ પર આગળ વધ્યા

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને ભાજપ દ્વારા પણ તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજરોજ ગોધરાના લુણાવાડા રોડ પર આવેલા છબનપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં ભાજપના ’સંપર્કથી સમર્થન અભિયાન’ની છેલ્લી જાહેર સભા ગોધરા ખાતે યોજવામાં આવી હતી. જે.પી.નડ્ડાએ ગોધરાના છબનપુરના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ભાજપ કાર્યર્ક્તા સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના ભાજપ કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જ મેયર, સાંસદ, ધારાસભ્યો, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને માણ્યો હતો.

ગોધરા શહેરમાં આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા વિશાળ જનસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા જન સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સહિત ખેડા જિલ્લાના કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું. જગતપ્રકાશ નડ્ડા દ્વારા સરકારની વિવિધ સિદ્ધિઓ લોકો સમક્ષ રજૂ કરીને લોક્સભાની ચૂંટણીઓ માટે કામે લાગી જવા હાંકલ કરી હતી.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા નજીક આવેલા પંચમહાલ ડેરીની બાજુના મેદાન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા જનસંપર્ક અભિયાન અંતર્ગત આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના વિવિધ ભાજપના હોદ્દેદારો, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્યો, વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ દેશના તમામ વર્ગો માટે આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ દ્વારા માત્ર વાયદાઓ કરીને ભૂલી જવામાં આવેલા પણ કામો મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્ર્વ ફલક ઉપર ભારતને સર્વોચ્ચ સ્થાને લઈ ગયા છે. નરેન્દ્ર મોદીની છેલ્લા નવ વર્ષની સરકારની વિવિધ યોજનાઓની સફળતાઓની આંકડાકીય માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિકાસના વિવિધ કામો જેવા કે નેશનલ હાઇવેના નિર્માણ બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેન તેમજ યુવાઓને રોજગાર ખેડૂતોને પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાય સહિતની યોજનાઓને આંકડાકીય માહિતી આપી હતી.

તો બીજી તરફ હવે પક્ષ પાર્ટીઓને પણ આડે હાથે લેતા જણાવ્યું હતું કે, શિવસેના, માયાવતી, અખિલેશ યાદવ આ તમામ લોકોને પરિવાર વાદમાં માન્યા છે. તેઓએ પોતાના પરિવારનું જ વિચાર્યું છે, દેશનું વિચાર્યું નથી, જ્યારે નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષથી દેશ માટે જ વિચાર્યું છે અને દેશ માટે જ રાત દિવસ કામ કરી રહ્યા છે. આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી લોક્સભાની ચૂંટણીઓમાં પણ ભાજપ જંગી બહુમતીથી વિજયી થશે, તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વધુ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું. મને પાવાગઢ મહાકાળી માતાના પાવન ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. ગુજરાતે વીરો, સંતો, સંન્યાસી અને સમાજ સુધારકની ધરતી છે. ગોધરામાં મુશળધાર વરસાદ આવ્યો છે. છતાં પણ તમામ કાર્યકરો હોદ્દેદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વરસાદ હોવા છતાં પણ તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ભાજપ પાર્ટી પ્રત્યે તમારી લાગણી દર્શાવી તે બદલ હું દિલથી આભાર માનું છું.ત્યાર બાદ ગોધરાની જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી આડે હાથ લીધી હતી. ગરીબીના નામે વોટ માંગી કોંગ્રેસે ગરીબોને લૂટ્યા, વર્ષોથી આપણે વિચારીએ છીએ કે ગરીબોનું ભલું થાય, પરંતુ આજ દિન સુધી કોંગ્રેસે ગરીબોનું ભલું નથી કર્યું. પ્રધાનમંત્રીના સુશાસનના નવ વર્ષમાં ગરીબ કલ્યાણ પર આગળ વધી રહ્યા છે. ત્યારે ભારત દેશ બ્રિટનને પછાડી અર્થવ્યવસ્થામાં આગળ છે. કોંગ્રેસને ખબર નથી કે દેશ બદલાઈ ગયો છે.