પોલીસે જૂતાથી નવજાતને કચડી નાખ્યું? માસૂમના મોત બાદ ભારે બબાલ

ગિરિડીહ,ઝારખંડના ગિરિડીહથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અહીં પોલીસના દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ પગથી કથિત રીતે ૪ દિવસના એક બાળકને કચડ્યો અને તેના મોતની ઘટના સામે આવી છે. ઘટના બાદથી વિપક્ષ હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે. પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ખૌફનાક ઘટના ગિરિડીહમાં દેવરી પોલીસ મથકના કોશોદિંધી ગામમાં ઘટી છે. પોલીસ એક બિનજામીનપાત્ર વોરંટ કેસમાં બે લોકોને પકડવા માટે એક ઘરમાં પહોંચી હતી. ઘટના બાદ વિપક્ષી પાર્ટી ભાજપે સીનિયર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

ગિરિડીહના એસપી અમિત રેણુએ કહ્યું કે આરોપ છે કે કોર્ટ તરફથી ઈશ્યુ થયેલા બે બિનજામીનપાત્ર વોરંટનો અમલ કરવા માટે જ્યારે પોલીસકર્મી પહોંચ્યા તો ચાર દિવસના નવજાતનું મોત થયું. પ્રાથમિક તપાસમાં નવજાત બાળકના શરીરના બહારના ભાગ પર ઈજાના નિશાન નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે શું થયું હતું.

તેમણે એમ પણ કહ્યું કે ડોક્ટરોની એક ટીમ મેજિસ્ટ્રેટની નિગરાણીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. અમારી પાસે હાલ એવી કોઈ જાણકારી નથી કે પોલીસે નવજાતને કચડ્યું હોય. આરોપ સાચા પડશે તો દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. એસપી અમિત રેણુએ કહ્યું કે ૪-૫ પોલીસકર્મી મૃત નવજાતના દાદા ભૂષણ પાંડે અને અન્ય એક આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ લઈને પહોંચ્યા હતા.

નોંધનીય છે કે સીએમ સોરેને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વીડિયોમાં ભૂષણ પાંડેને એવો આરોપ લગાવતા જોઈ શકાય છે કે સવારે ૩.૨૦ વાગે પોલીસકર્મીઓએ તેમના ઘર પર દરોડો પાડ્યો અને દરવાજો ન ખુલ્યો તો જબરદસ્તીથી ખોલ્યો. હું અને ઘરની મહિલાઓ ત્યાંથી ભાગી ગયા. ઘરમાં ચાર દિવસનું બાળક સૂતું હતું જેને તેમણે મારી નાખ્યું.