પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે

અમદાવાદ, લોક્સભા ચુંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યું છે. જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવોને સ્પર્શતી ૫ દિવસની “વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ’જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે હવે સામે આવ્યું છે કે, આગામી ૧૦ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.

વડોદરામાં આગામી ૧૦ ફેબ્રુઆરીએ આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ૧૦ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ તરફ સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવશે. મહત્વનું છે કે, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ ભાગ લેશે તો છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. નોંધનિય છે કે, વડોદરાના સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી આ મહાસંમેલન યોજાશે.