
અમદાવાદ,વડાપ્રધાન મોદી આગામી ૨૬ એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે. જોકે અગાઉ તે ૧૭ એપ્રિલએ આવવાના હતા પરંતુ તેમનો આ પ્રવાસ રદ થયો હતો. તેઓ ગીર સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા પરંતુ હવે તેઓ ૨૬ એપ્રિલે આ કાર્યક્રમમાં ભાગ લેશે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં ૧૭ એપ્રિલે રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. અગાઉ ૧૭ એપ્રિલે હાજરી આપવાના હતા, જે પ્રવાસ રદ થયો.
મોદી ૧૭ એપ્રિલે ફોરેન ડેલિગેશન સાથે બેઠક હોવાથી તેમજ કર્ણાટક ચૂંટણીના કારણે તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચેન્નઈ ખાતે ગત ૧૯મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના ૨૪ કલાકમા ૧૦ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને સારો પ્રતિસાદ આપ્યો હતો.
૧૭ એપ્રિલે તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે અને તેમાં રાજનાથ સિંહ હાજરી પણ આપશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૦૨૪ ની લોક્સભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી છે. લોક્સભાની ચૂંટણીના પ્લાનિંગને લઈને પણ તેમનો આ પ્રવાસ મહત્વનો ગણવામાં આવે છે.