પાવાગઢ યાત્રાધામ ડુંગર ઉપર વસવાટ કરતા 500 ઉપરાંત પરિવારોને ઉનાળામાં પાણી નહિ મળતા પરેશાન : વેચાતુ પાણી લેવા મજબુર

  • સ્થાનિક પંચાયત દ્વારા યોગ્ય અને નિયમિત વોટર વર્કસ સપ્લાય ના અભાવે પાણીની તંગી
  • પાવાગઢ ડુંગર સુધી પાણી પહોંચાડવા પાણી પુરવડા બોર્ડનો લાખોનો ખર્ચ છતાં ઉનાળામાં પાણીની તંગી

હાલોલ, પંચમહાલ જિલ્લા પાવાગઢ યાત્રાધામ ડુંગર ઉપર વસતા 500 ઉપરાંત પરિવારોને પાણીની સુવિધા પુરી પાડવામાં 5ાણી પુરવઠા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વોટર વર્કસનુ સ્થાનિક પંચાયત દ્વારા યોગ્ય વહીવટના કારણે ડુંગર ઉપર વસતા પરિવારો પાણી માટે પરેશાન થઈ રહ્યા છે. સપ્તાહમાં માંડ એક વખત મળતા પાણીને લઈ રહિશો વેચાતુ પાણી લેવા મજબુર બન્યા છે.

પાવાગઢ યાત્રાધામ વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ પાવાગઢ ડુંગર ઉપર ઉનાળાની શરૂઆત સાથે પાણીની સમસ્યા સર્જાઈ છે. ડુંગર સુધી પાણીના સપ્લાય માટે યોગ્ય અને કાયમી આયોજન કરવામાં આવ્યુ નથી.પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાવાગઢ તળેટીથી ડુંગર સુધી પાણી પુરવઠો પહોંચાડવા માટે બે કરોડનો ખર્ચ કરીને તળેટીનુ પાણી પમ્પિંગ કરીને ડુંગર ઉપર પહોંચાડવામાં આવી રહ્યુ છે. પરંતુ તળેટીથી ડુંગર ઉપર જતા પાણીના પાઈપલાઈનમાં અનેક ગેરકાયદેસર જોડાણો કરી પાણીની ચોરી કરાતી હોવાને લઈ તેમજ લાઈનોમાં માઈનોર ભંગાણનુ મરામત કામ ન થતાં પમ્પનુ પ્રેશર ડુંગર સુધી પાણી પહોંચી શકતુ નથી. પાવાગઢ તળેટી ખાતે બે પમ્પિંગ સ્ટેશન અને માંચી ખાતે એક પમ્પિંગ સ્ટેશન દ્વારા તબકકાવાર ડુંગર સુધી પાણી લઈ જવાની વ્યવસ્થા છે. પરંતુ આ વ્યવસ્થા અનિશ્ર્ચિત હોવાથી ડુંગર સુધી પાણી પહોંચતા નથી.અને જો પાણી પહોંચે તો પણ ડુંગર પર વસતા લોકો સુધી પહોંચતુ નથી. પાવાગઢ ડુંગર પર 500 ઉપરાંત દુકાનદારો અને પરિવારો વસતા હોય તેઓને સપ્તાહમાં એક વખત પાણી મળે છે. જેને લઈ ડુંગર ઉપર વસતા પરિવારોને વેચાતુ પાણી લેવાનો વારો આવ્યો છે. વેચાતુ લેવામાં આવતુ પાણી પીવા લાયક નહિ પરંતુ ધર વપરાશમાં ઉપયોગ થાય છે ત્યારે પાવાગઢ ડુંગર ઉપર વસવાટ કરતા પરિવારોને પાણીની સુવિધા મળી રહે તેવુ આયોજન કરાય તે જરૂરી છે.