પ.બંગાળમાં ફરી મમતાનો જાદૂ: પંચાયત ચૂંટણીમાં ટીએમસીનો વિજય ડંકા

  • ડાયમંડ હાર્બરમાં કાઉન્ટિંગ સેન્ટરની બહાર દેશી બોમ્બ વિસ્ફોટ.

કોલકતા: પશ્ર્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે યોજાયેલી ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે સવારે ૮ વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. મત ગણતરી માટે તમામ કેન્દ્રો પર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતાં જો કે મત ગણતરી દરમિયાન, ડાયમંડ હાર્બરમાં એક કાઉન્ટિંગ સેન્ટરની બહાર દેશી બોમ્બ વિસ્ફોટ થયો હતો. શનિવારે પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ૨૭ લોકોના મોત થયા હતા. હિંસા બાદ સોમવારે લગભગ ૭૦૦ બૂથ પર ફરીથી મતદાન પણ થયું હતું. શાસક ટીએમસીનું કહેવું છે કે હિંસા માટે વિપક્ષ જવાબદાર છે કારણ કે તૃણમૂલ ચૂંટણી જીતી રહી છે. ભાજપે આ મોત માટે ટીએમસી સરકારને જવાબદાર ગણાવી છે. અત્યાર સુધી જાહેર થયેલ પરિણામો અનુસાર ટીએમસીએ ૬૩,૨૨૯ ગ્રામ પંચાયતોમાંથી ૩,૭૦૦થી વધુ પર જીત હાંસલ કરી લીધી છે જયારે અન્ય ૩,૧૬૭ પંચાયતોમાં તેના ઉમેદવાર આગળ છે. જયારે ભાજપે ૬૭૩ બેઠક પર જીત હાંસલ કરી છે અને ૭૮૨ ઉપર તેના ઉમેદવાર આગળ છે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માકર્સવાદીએ ૨૪૧ બેઠક પર જીત હાંસલ કરી છે અને ૬૨૭ ઉપર ગ્રામ પંચાયત પર આગળ છે જયારે તેની સાથે કોંગ્રેસ ૧૦૭ ગ્રામ પંચાયત બેઠક પર જીત હાંસલ કરી છે તથા ૨૪૧ અન્ય પર આગળ છે.

પશ્ર્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટેની મતગણતરી દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી શરૂઆતના ટ્રેન્ડમાં આગળ રહી હતી મતગણતરી માટે મતદાન મથકો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. આમ છતાં દક્ષિણ ૨૪ પરગણાના ડાયમંડ હાર્બરમાં એક બૂથમાં બ્લાસ્ટ થયાના સમાચાર છે.આ તરફ ભાજપનો આરોપ છે કે તેમના લોકોને મતદાન કેન્દ્ર પર જવા દેવામાં આવી રહ્યા નથી.

બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે મંગળવારે હિંસા સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આનંદ બોઝે કહ્યું, બંગાળમાં વધતી હિંસા સામે લડાઈ ચાલી રહી છે. જેમણે રસ્તા પર હિંસા ફેલાવી, તેમને છોડવામાં આવશે નહીં. ગુંડાઓ અને કાયદો તોડનારા તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

નદિયાની ૧૮૫ પંચાયત સીટોના ટ્રેન્ડ જાહેર થયા છે. તેમાંથી ટીએમસી ૬૩માં આગળ છે. બીજી તરફ મમતાની પાર્ટીએ દક્ષિણ પરગણામાં ૮૫માંથી ૮ સીટો પર લીડ મેળવી છે. બંને જગ્યાએ ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓએ ખાતું પણ ખોલ્યું નથી.૮ જુલાઈના રોજ, પશ્ર્ચિમ બંગાળમાં ૭૩,૮૮૭ ગ્રામ પંચાયત બેઠકોમાંથી ૬૪,૮૭૪ પર મતદાન થયું હતું. બાકીની ૯,૦૧૩ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બિનહરીફ ચૂંટાયેલા સૌથી વધુ ૮,૮૭૪ ઉમેદવારો તૃણમૂલ કોંગ્રેસના છે.

શુભેન્દુ અધિકારીએ કહ્યું કે ચૂંટણી પંચને ૬૦૦ બૂથની યાદી આપ્યા બાદ ભાજપે ત્યાં ફરીથી મતદાનની માંગ કરી હતી. જ્યારે ૧૮૦૦૦ બૂથ પર ખોટું મતદાન થયું હતું. અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ. ભાજપે હિંસાની તપાસ માટે ભાજપના સાંસદોની એક કમિટી બનાવી છે. પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ તેની અધ્યક્ષતા કરશે. સમિતિ રાજ્યની મુલાકાત લેશે અને તપાસ અહેવાલ જેપી નડ્ડાને સોંપશે.

શુભેન્દુ અધિકારીએ કહ્યું- ટીએમસીના ગુંડાઓ અને પોલીસની મીલીભગતથી થઈ હત્યાઓવિપક્ષના નેતા અને નંદીગ્રામના ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ પંચાયત ચૂંટણીમાં થયેલી હત્યાઓ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું, ટીએમસીના ગુંડાઓ અને પોલીસની મિલીભગતને કારણે આટલી બધી હત્યાઓ થઈ. સીબીઆઇ અને એનઆઇએઆ મામલાની તપાસ કરે.