પંચમહાલ સાંસદ અને ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં લુણાવાડા તાલુકાના હાડોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

લુણાવાડા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા જીલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. વંચિત લાભાર્થીઓને આવરી લઇ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે, ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના હાડોડ ગામે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને ભારત સરકારના તબીબી શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ વિપુલ અગ્રવાલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યકમ યોજાયો હતો. લાભાર્થીઓને સાંસદ અને સંયુક્ત સચિવ સહીત મહાનુભાવોના હસ્તે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા.

સાંસદે ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જાણકારીના અભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો, તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. કોઈને બીજાના આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત સાંસદે આગેવાનો તેમજ અધિકારીઓને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી.

સંયુક્ત સચિવએ દ્વારા આ યાત્રામાં કોઈ પણ લાભાર્થી સરકારની કોઈ પણ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે જનઆરોગ્ય માટે કેન્દ્ર ચિંતિત છે ત્યારે આરોગ્ય વિભાગના સ્ટોલનો લાભ લઇ આરોગ્યની ચકાસણી કરાવવા જાહેર જનતાને અપીલ કરી હતી. તેમણે વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ જન માનસ સુધી પહોંચવાનો અને તેમના સુધી સરકારી યોજના પહોંચાડવાનો એક ઉત્તમ અવસર છે તેમ જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું.

મેરી કહાની મેરી જુબાનીના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. કાર્યક્રમમાં સાંસદ અને જોઇન્ટ સેક્રેટરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ સરકારી યોજનાઓના કાર્યરત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. લોકનાટ્ય ભવાઈ વેશના માધ્યમથી કલાકારોએ પ્રજાલક્ષી યોજના અંગે લોકસંદેશો પાઠવ્યો હતો. શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત રજુ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આનંદ પાટીલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલ, લુણાવાડા મામલતદાર આઈ.એચ.પટેલ, રથ ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકીન શુક્લ, તાલુકા સદસ્ય અજય દરજી,અગ્રણીઓ જવાનભાઈ, હિંમતસિંહ, ગણેશભાઈ, સરપંચ, ડે.સરપંચ, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.