પંચમહાલના ખેડુતોને વરિયાળીના પાક વેચવા ઉંઝા સુધી લાંબા થવાની નોબત

ગોધરા,પંચમહાલના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડુતો વરીયાળીની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે અહિંના ખેડુતો આશરે 200 હેકટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મલબખ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનુ ખરીદ કેન્દ્ર ન હોવાથી ખેડુતોને ભારે મુશ્કેલી વેઠી આ વરિયાળી વેચવા માટે ગોધરાથી 300 કિ.મી.દુર આવેલા ઉંઝા ખરીદ કેન્દ્ર સુધી લંબાવવાની ફરજ પડી રહી છે. જેમાં ખેડુતોને બે થી ત્રણ દિવસના સમય સાથે ભાડા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અહિંના ખેડુતો કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ચાલુ શિયાળા સીઝનમાં 63 હજાર હેકટરમાં વિવિધ પ્રકારના પાકોનુ વાવેતર કરવામાં આવે છે. જેમાં મકાઈ, ધઉં, ચણા, શાકભાજી, ધાસચારા સહિતના મુખ્ય પાક લેવામાં આવે છે. આ સિવાય જિલ્લાના હાલોલ અને ગોધરા વિસ્તારના ખેડુતો 200 હેકટર ઉપરાંતમાં વરિયાળીનો પાક લઈ રહ્યા છે. જોકે વરિયાળી પાકનુ ઉત્પાદન કરતા ખેડુતો જણાવી રહ્યા છે કે તેઓ વરિયાળીની ખેતી તો કરી રહ્યા છે પરંતુ વરિયાળીનુ ખરીદ કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં ન હોવાના કારણે ઉંઝા ખાતે લાંબા થવુ પડી રહ્યુ છે. સાથે જ આ વરિયાળી વેચવા માટે ખેડુતને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અહિંના ખેડુતોની હાલત જંગલી ભુંડોના ત્રાસથી કફોડી બની છે. અહિં આજુબાજુમાંથી મોટી સંખ્યામાં રાત્રિના સમયે જંગલી ભુંડો ખેતરમાં ધુસી જઈ પાકને ભારે નુકસાન પહોંચાડે છે. ત્યારે ખેડુતોના પોતાના મહામુલા પાકનુ રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રિ દરમિયાન ખેતરમાં જ સુવાની ફરજ પડી છે. અને બીજી તરફ જે મહામુલા પાકનુ રક્ષણ કરી પાક તૈયાર કરે છે તેને વેચવા માટે દુર સુધી લાંબા થવુ પડે છે. પંચમહાલ જિલ્લામાં વરિયાળીના ખરીદ કેન્દ્ર ન હોવાના ખેડુતોને વરિયાળી પાક વેચવા માટે 300 કિ.મી. દુર સુધી લાંબા થવુ પડે છે. ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જ વરિયાળીનુ ખરીદ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.