પંચમહાલ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગગન ચુમ્બી ઊંચાઈ ધરાવતા તાડ ના વૃક્ષ હાલ સ્થાનિકો માટે રોજગારીનું સાધન બન્યા

ગોધરા, પંચમહાલ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગગન ચુમ્બી ઊંચાઈ ધરાવતા તાડ ના વૃક્ષ હાલ સ્થાનિકો માટે રોજગારીનું સાધન બન્યા છે. ઔષધીય ગુણ ધરાવતા તાડ ફળી ફળનું હાલ પંચમહાલ જીલ્લાના જાહેર માર્ગો ઉપર ધૂમ વેચાણ થઈ રહ્યું છે .ઉનાળાની ઋતુમાં ગુણકારી માનવામાં આવતું તાડફડી ફળ હાલ સૌ હોશે હોશે આરોગતા પણ જોવા મળી રહ્યા છે.

પંચમહાલ જીલ્લામાં ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડ ના અસંખ્ય વૃક્ષ આવેલા છે. આ વૃક્ષ નો ઉપયોગ સ્થાનિકો રોજગારી માટે હાલ કરી રહ્યા છે આ ઉપરાંત તાડ ના પાંદડા નો ચોમાસામાં પણ ઉપયોગ કરતા હોય છે. ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષ તાડ માંથી પંચમહાલ જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક જાણકારો તાડી અને નીરો જેવા પ્રવાહી મેળવી તેનું પણ વેચાણ કરતા હોય છે .આ ઉપરાંત તાડના વૃક્ષ ઉપર લાગતા અને ગિલોરા તરીકે ઓળખાતા ફળ માંથી વેચાણ કરી હાલ રોજગારી પણ મેળવી રહ્યા છે. હાલ પંચમહાલ જીલ્લા ના હાઇવે માર્ગો ઉપર ઠેર ઠેર તાડ ફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત અહીંથી તાડફળી વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો વેચવા માટે મોકલી રહ્યા છે, જોકે સસ્તા ભાવે મળી રહેલી અને મીઠી લાગતી તાડ ના ફળ વૃક્ષ ઉપરથી ઉતારવા માટે ખૂબ જ કઠિન અને પડકાર જનક પણ માનવામાં આવે છે આ ઉપરાંત ગિલોરા માંથી ફળ બહાર કાઢવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડે છે જેથી તાડ ફળી આરોગતા શોખીનો વેચાણ કરતાં વેપારીઓમાં સાથે ભાવ તાલ ના કરે એ પણ એક ઇચ્છનીય બાબત કહી શકાય.

તાડના વૃક્ષનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ જે પૈકી એકમાત્ર તેના ફળ તાડ ફળીની જો વાત કરવામાં આવે તો આયુર્વેદાચાર્યના મત પ્રમાણે ઉનાળામાં આ ફળનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તાડફળીના સેવનથી લૂ નથી લાગતી, પથરી અને ડી હાઇડ્રેશન માં પણ રાહત મળે છે. સાથે સાથે જ તાડફળીમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતું હોય છે જેથી તેના સેવનને શરીર માટે હિતકારી માનવામાં આવે છે. જ્યારે તાડના વૃક્ષમાંથી કાઢવામાં આવતા રસ તાડી અને નીરો કહેવામાં આવે છે. જે બંને નું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો એ પણ ગુણકારી માનવામાં આવે છે. જ્યારે વધુ સેવન કરવામાં આવે તો તે માદક દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. આ ઉપરાંત આયુર્વેદ આચાર્યના જણાવ્યા મુજબ તાડ ફળી ફેસ માસ્ક તરીકે પણ ખૂબ જ ગુણકારી અને ઉપયોગી છે. તાડ ફળીને ચંદનના પાવડર સાથે ભેળવી લેપ ને ચહેરા ઉપર લગાવવામાં આવે તો ચહેરા નો નિખાર ખીલી ઉઠવા સાથે ચામડીને પોષક તત્વો પણ મળી રહેતા હોય છે.