પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં “સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિ”ની બેઠક યોજાઈ

  • ધ્વજ દિન એ રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ, નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા જીલ્લા કલેક્ટર પંચમહાલની પ્રજાજોગ કરાઈ અપીલ

ગોધરા,આજે 07 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં “સશસ્ત્ર સેના ધ્વજ દિન -2023”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે “સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિ”ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ધ્વજ દિનએ રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ છે, જેમાં સરકારી વિભાગો સાથે જીલ્લાના નાગરીકોને દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજોગ અપીલ કરાઈ હતી. તેમણે જીલ્લાની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, ઉદ્યોગો સહિત નાગરિકોને ધ્વજ દિન નિમિતે રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવા માટે અનુરોધ કર્યો હતો. જીલ્લા કલેકટરએ રાષ્ટ્ર ભાવના સાથે આજે સૌપ્રથમ ફાળો આપીને પંચમહાલ જીલ્લામાં ભંડોળ એકત્રિત કરવાની શરૂઆત કરાવી હતી.

આજના દિવસે દેશની સરહદો ઉપર ફરજ બજાવતા સૈનિકો, પૂર્વ સૈનિકો,સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આતોના પુનર્વસવાટ અને કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવતું ભંડોળ દેશના દાનવીર નાગરીકો તેમજ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક/ખાનગી એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વ્યાપારીક ક્ષેત્રો પાસેથી તેઓની દેશદાઝની સ્મૃતિ અપાવતો ફાળો દાન સ્વરૂપે એકત્રીત કરવામાં આવે છે.

રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના ઘર પરીવારથી દૂર દેશની સરહદો-સીમાડાઓ ઉપર 24 કલાક ખડે પગે ઉભા રહી રક્ષા કરે છે. તે સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના આતોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળને એકત્રીત કરવા માટે જાહેર જનતા કે જે પોતાનો વ્યક્તિગત ફાળો આપવા ઇચ્છતા હોય તેવા દાનવીરો પોતાનો ફાળો જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ નંબર 32,ત્રીજો માળ,બહુમાળી ભવન, જીલ્લા સેવા સદન-2, ગોધરા, જી. પંચમહાલ ખાતે રોકડમાં અથવા “કલેકટર અને પ્રમુખ, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ, ગોધરા”(COLLECTOR PRESIDENT, ARMED FORCES FLAG DAY FUND, GODHRA) ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા એસ.બી.આઇ ગોધરા (મેઈન બ્રાન્ચ),લોખંડવાલા કોમ્પલેક્ષ,ગોધરાના ખાતા નંબર 38763547590 (IFSC CODE SBIN0000375) માં NEFT/RTGS દ્વારા જમા કરાવી સરકારી પહોંચ મેળવવા અનુરોધ કરાયો છે.

આ બેઠકમાં જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સહિત સબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, નિવૃત્ત સેનાના જવાનો અને એન.સી.સી.કેડેટ ઉપસ્થિત રહ્યા હતા.