પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને MCMC કમિટીની બેઠક યોજાઈ

  • રાજકીય પક્ષો/ઉમેદવારોએ જાહેરાત પ્રસારીત કરતા પહેલા ખઈખઈનું પ્રમાણપત્ર મેળવવાનું ફરજીયાત રહેશે.

ગોધરા, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી (MCMC)ની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારીએ કમિટીની વિવિધ કામગીરી બાબતે તમામને જરૂરી માર્ગદર્શન આપીને જરૂરી સૂચનાઓ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિજાણુ માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની રહેશે.

આ સાથે તમામ ટીવી ચેનલના પ્રતિનિધિઓ, કેબલ ઓપરેટરો અને સોશિયલ મીડિયા પર અથવા પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય તે માટે તમામ પ્લેટફોર્મ પર બાજ નજર રાખવામાં આવશે. તેમણે જીલ્લામાં પ્રિંટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર ફેક,પેઈડ અને આચાર સંહિતાના ભંગના સમાચાર બાબતે રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવા જણાવ્યું હતું.

બેઠકમાં ખર્ચ નોડલ અને જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,ટ્રેનિંગ મેનેજમેન્ટ નોડલ અને જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા,નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.કે.ડામોર સહિત કમિટીના સભ્યો અને મીડિયા સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.