પક્ષીઓની સારવાર:દાહોદમાં પતંગની દોરીથી 91 પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર અપાઈ

દાહોદ, દાહોદ જીલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે પશુપાલન વિભાગ દ્રારા સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા હતા. જેમાં 91 પક્ષીઓને સારવાર અપાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે પશુપાલન વિભાગ દ્રારા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે ખાસ કેન્દ્રો શરૂ કરવામા આવે છે. તેવી જ રીતે આ વખતે જીલ્લામાં 27 જેટલા ખાસ સારવાર કેન્દ્ર અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત રખાયા હતા.

આ વખતે ઉત્તરાયણના દિવસથી આજ દિન સુધી 91 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી આવ્યા છે. જે ઘાયલ પક્ષીને સારવાર આપવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ 39 કબુતર, 5 સમડી, 3 ઘુવડ, 2 પોપટ, 1 કાગડો, 1 શિકરા અન્ય પ્રજાતિ 40 મળી 91 પક્ષીઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રની મુહિમ અને લોક જાગૃતિને કારણે જીલ્લામા કોઈ પક્ષીઓના મોત થયુ હોવની જાણકારી નથી. આ ઉત્તરાયણ નિમિત્તે આ કરૂણા અભિયાનમાં સરકારી કર્મચારીઓ મળી કુલ 80 જેટલા લોકો ની સાથે 27 ટીમો જોડાઈ હતી. દાહોદ જીલ્લામાં કરૂણા અભિયાન હજી 20મી જાન્યુઆરી સુધી ચાલશે જે દરમ્યાન ઘાયલ પક્ષીઓને સારવાર કર્યા બાદ સ્વસ્થ થયા પછી મુક્ત કરવામા આવશે.