પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી ૨૦ મેચોની સિરીઝ રમવાની છે

મુંબઇ, ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પહેલા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી ૨૦ મેચોની શ્રેણી રમાશે. ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સીરીઝમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટી ૨૦ વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે. પરંતુ હવે સીરિઝ પહેલા જ ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિમંડળ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પાકિસ્તાન પહોંચી ગયું છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનું એક પ્રતિનિધિમંડળ એપ્રિલમાં યોજાનારી ટી ૨૦ શ્રેણી માટે પાકિસ્તાનના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા પાકિસ્તાન પહોંચ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટના બે સભ્યો અને એક સ્વતંત્ર સુરક્ષા નિષ્ણાતનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે લાહોર, રાવલપિંડી અને ઈસ્લામાબાદ પહોંચ્યું છે.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે એપ્રિલમાં લાહોર અને રાવલપિંડીમાં પાંચ મેચોની શ્રેણી રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા પ્રતિનિધિમંડળ મેચના સ્થળો અને ટીમ જ્યાં રોકાવાની છે તે હોટલોની મુલાકાત લેશે. તે ટીમની સુરક્ષા યોજના અંગે સરકાર અને સુરક્ષા અધિકારીઓ પાસેથી માહિતી પણ લેશે. આ પ્રતિનિધિમંડળમાં ન્યૂઝીલેન્ડ પ્લેયર્સ એસોસિએશનના સીઈઓ પણ સામેલ છે.

આ પહેલા શાહીન આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી રમી હતી. ત્યારબાદ પાકિસ્તાની ટીમને ૪-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસ બાદ પાકિસ્તાની ટીમના ડાયરેક્ટર મોહમ્મદ હાફીઝને હટાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની ટીમ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સારું પ્રદર્શન કરી શકી નથી. ટીમ સેમી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ પછી બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ શાન મસૂદને ટેસ્ટમાં અને શાહીન આફ્રિદીને ટી-૨૦માં કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. મિકી આર્થરને ડાયરેક્ટર પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર વહાબ રિયાઝ છે.