પાકિસ્તાનના હવાઈ હુમલાથી નારાજ ઈરાને પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું

ઇસ્લામાબાદ, પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહી તો વધુ એક યુદ્ધ ફાટી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનના પાકિસ્તાન પર મિસાઈલ હુમલા બાદ પાકિસ્તાન ચિંતિત છે. હવે પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. આ ઓપરેશનમાં ૭ લોકોના મોત થયાના અહેવાલ છે. ઈરાન આ જવાબી કાર્યવાહીથી નારાજ છે. ઈરાને પાકિસ્તાનની કડક નિંદા કરી છે અને તેને ખુલાસો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

ઈરાનના સરકારી ટીવીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઈરાને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાનને તાત્કાલિક સ્પષ્ટતા કરવા પણ કહેવામાં આવ્યું છે. ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો.ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે.

આજે એટલે કે ગુરુવારે સવારે પાકિસ્તાને ઈરાનમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ’માર્ગ બાર સરમાચાર’ શરૂ કરીને બદલો લીધો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેણે આ ઓપરેશનમાં ઘણા આતંકીઓને ઠાર કર્યા છે.આ ઘટના બાદ ઈરાન ખૂબ જ નારાજ છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાને આ નિર્ણયો અંગે સ્પષ્ટતા આપવી પડશે.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હવાઈ હુમલો કર્યો હતો. ઈરાને પાકિસ્તાન બોર્ડર પર મિસાઈલોથી હુમલો કરીને ખળભળાટ મચાવ્યો હતો. ઈરાક અને સીરિયા પછી તુલનાત્મક રીતે શક્તિશાળી દેશ પાકિસ્તાન વિરુદ્ધ ઈરાનની આ કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે. ઈરાને બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે નાગરિકો પર હુમલો કર્યો નથી પરંતુ પાકિસ્તાન સરહદ પર આધારિત સુન્ની આતંકવાદી સંગઠનો ઈરાન પર હુમલો કરતા રહે છે.

જો કે આ હુમલા પર પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે બે બાળકોના મોત થયા છે. પરંતુ પાકિસ્તાને ઈરાનના રાજદૂતને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ જોવા મળ્યો હોય. જો કે આ વખતે મામલો વધુ આગળ વધી ગયો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધથી પરેશાન ઈરાને પાકિસ્તાનની જવાબી કાર્યવાહીને ગંભીરતાથી લીધી છે.