પાકિસ્તાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ: બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં  ૮ આતંકીઓ ઠાર

ઇસ્લામાબાદ,૩૧ ડિસેમ્બરની રાત્રે જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરેલા ઓપરેશનમાં ૮ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા હતા અને તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાની સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓના કેમ્પ અને ઠેકાણાઓને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે.

પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે બલૂચિસ્તાનમાં અસ્થિરતા અને ગુનાખોરી વધારી રહેલા ૮ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બલૂચિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પાકિસ્તાન સરકારના સપના સાથે સેના પણ આગળ વધી રહી છે. પાકિસ્તાનની એક્તા અને શાંતિ માટે પણ આ જરૂરી છે. નોંધનીય છે કે બલૂચિસ્તાનમાં ઘણા અલગતાવાદી સંગઠનો સક્રિય છે અને ત્યાં દરરોજ હિંસક ઘટનાઓ બનતી રહે છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી હુમલા પણ સતત થઈ રહ્યા છે. ખૈબર-પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણની અનેક ઘટનાઓ બની છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ડિસેમ્બરમાં જ એક જ દિવસે બે અલગ-અલગ ઘટનાઓમાં ૨૫ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન માટે સુરક્ષા વ્યવસ્થા પણ મોટો પડકાર બની રહી છે.

આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાનની સેનાએ તેમની અવ્યવસ્થા અને નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. પાક સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમે અફઘાનિસ્તાનની વચગાળાની સરકારને તેના સરહદી વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે પહેલાથી જ અનુરોધ કર્યો છે. અમે ફરી એકવાર અફઘાન વચગાળાની સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તેની જમીનનો ઉપયોગ ન થવા દે. ભવિષ્યમાં પણ આ અંગે કડક કાર્યવાહી કરીશું.