પૈસાવાળાને હવે ભારત ગમતું નથી !

નવીદિલ્હી,

આ વર્ષે ૮૦૦૦ કરોડપતિઓએ ભારત છોડ્યું અને બીજા દેશમાં રહેવા જતાં રહ્યાં

ભારત હવે અમીરોના સ્થળાંતરના મામલે ટોપ-૩ દેશોમાં સામેલ થઈ ગયું છે.

દુનિયાભરમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ ભારતીય કરોડપતિઓની યાદીમાં સતત નવા નામ સામેલ થઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ભારત છોડીને અન્ય સ્થળની શોધમાં અમીરોનો દર પણ જબરજસ્ત વધી ગયો છે. હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, એક વર્ષમાં ૮,૦૦૦ ભારતીય કરોડપતિઓએ દેશ છોડી દીધો છે. આ આંકડા સાથે ભારત હવે અમીરોના સ્થળાંતરના મામલે ટોપ-૩ દેશોમાં સામેલ થઈ ગયું છે.

એક તરફ ભારતીય ઉદ્યોગપતિઓ વિશ્ર્વના ટોચના અમીરોની યાદીમાં સ્થાન મેળવી રહ્યા છે ત્યારે બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય કરોડપતિઓનો દેશ પ્રત્યે મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. આંકડાઓ કહી રહ્યા છે કે વર્ષ ૨૦૨૨માં જ હજારો કરોડપતિઓએ ભારતને ટાટા કહી દીધું છે. હેનલી એન્ડ પાર્ટનર્સે પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ હિસાબે ભારત વિશ્ર્વના ત્રણ દેશોમાં સામેલ છે, જ્યાંથી કરોડપતિઓએ ભારત છોડ્યું છે. આ યાદીમાં પ્રથમ નંબરે રશિયા જ્યારે બીજા નંબર પર ચીનનું નામ આવે છે.

બિઝનેસ ઇનસાઇડર પર પ્રકાશિત હેનલી એન્ડ પાર્ટનર્સનો અહેવાલ જોતાં સ્પષ્ટ થાય છે કે ભારત સહિત અનેક દેશોના કરોડપતિઓ પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૨માં ભારતમાંથી ૮,૦૦૦ કરોડપતિઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. જ્યારે આ મામલે મોખરે રહેલા રશિયામાંથી સ્થળાંતર કરનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષે ૧૫,૦૦૦ રહી છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ચીનમાંથી ૧૦,૦૦૦ કરોડપતિઓ સ્થળાંતર કરી ચૂક્યા છે.

કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન હાઈ નેટવર્થ લોકોના દેશ છોડવાની યોજના પર થોડી બ્રેક લાગી હતી, પરંતુ હવે ફરીથી અમીરોએ વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે અને તાજેતરનો આંકડો તેનું ઉદાહરણ છે. નોંધપાત્ર રીતે, ઊંચી નેટવર્થ ધરાવતા લોકોમાં એવા અમીર લોકોનો સમાવેશ થાય છે કે જેમની પાસે ૧૦ લાખ ડોલર કે તેથી વધુની સંપત્તિ હોય. જોકે, આ હિજરતની સાથે ભારતમાં નવા કરોડપતિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે રિપોર્ટમાં એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે જીવનધોરણ સુધર્યા બાદ દેશ છોડી ગયેલા આ અમીર લોકો ફરીથી ભારત પરત આવી શકે છે.

રિપોર્ટ અનુસાર માત્ર રશિયા-ચીન અને ભારત જ નહીં પરંતુ હોંગકોંગ એસએઆર, યુક્રેન, બ્રાઝિલ, મેક્સિકો, યુકે, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ કરોડપતિઓનું સ્થળાંતર ચાલુ છે અને તેનો દર વધી રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષોમાં દેશ છોડીને જતા કરોડપતિઓના દરમાં સતત વધારો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન, ૨૦૨૦-૨૧માં આ દરમાં ઘટાડો થયો હતો. રિપોર્ટમાં રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેન વિશે કહેવામાં આવ્યું છે કે ૨૦૨૨ના અંત સુધીમાં યુક્રેનના ૪૨ ટકા હાઈ નેટવર્થ લોકો દેશ છોડી શકે છે.

હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં લગભગ ૮૮,૦૦૦ હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ વિશ્ર્વભરમાંથી અન્ય દેશોમાં ગયા છે. ભારત, રશિયા અને ચીન ઉપરાંત હોંગકોંગમાંથી ૩,૦૦૦ શ્રીમંત અને યુક્રેનમાંથી ૨,૮૦૦ કરોડપતિઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. આ યાદીમાં ૧,૫૦૦ અમીરોની હિજરત સાથે બ્રિટન સાતમા નંબરે છે. જેમાં જે દેશોમાં આ અમીરો તેમના નવા ઘરની શોધમાં છે. તેમાં, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, પોતાનો દેશ છોડીને જનારા કરોડપતિઓમાં ૪,૦૦૦ લોકો ૩,૫૦૦ ઓસ્ટ્રેલિયા અને ૨,૮૦૦ સિંગાપોરમાં પહોંચ્યા છે.