એનઆરસી એપ્લિકેશન વગર આધાર કાર્ડ નહીં બને: આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા

આસામમાં પણ હવે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન વિના આધાર કાર્ડ બની શકશે નહીં તેવી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ એપ્લિકેશન રસીદ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે.

સરમાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે. જેના કારણે સંભવિત છેતરપિંડીની અરજીઓ અંગે ચિંતા વધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઓછામાં ઓછા ચાર જિલ્લામાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા અંદાજિત વસ્તી કરતા વધુ છે, જે ચિંતાજનક છે.

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા વસ્તી કરતા વધુ છે, જે દર્શાવે છે કે રાજ્યમાં શંકાસ્પદ નાગરિકો છે અને અમે નિર્ણય કર્યો છે કે નવા અરજદારોએ તેમની એનઆરસી અરજીની રસીદ નંબર સબમિટ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય અમે આસામમાં નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાને કડક બનાવીશું, હવે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં હોય અમારા પગલાનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા લોકોના ધસારાને રોકવાનો છે.

મુખ્યમંત્રીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ધુબરી જિલ્લા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ધુબરી જિલ્લામાં વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે, શક્ય છે કે કેટલાક શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ બની ગયા હોય.

તેમણે કહ્યું કે આગામી ૧૦ દિવસમાં ઔપચારિક સૂચના જારી થવાની અપેક્ષા છે, જો તમે દ્ગઇઝ્ર માટે અરજી નહીં કરો તો તમને નવી પ્રક્રિયા હેઠળ આધાર કાર્ડ નહીં મળે. જોકે, આ નિયમ ચાના બગીચા વિસ્તારોમાં લાગુ થશે નહીં. અન્ય જિલ્લાઓમાં ૧ ઓક્ટોબરથી આ નિયમનો કડક અમલ કરવામાં આવશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે એનઆરસી અરજીની રસીદ નંબર સબમિટ કરવાની આવશ્યક્તા તે ૯.૫૫ લાખ લોકોને લાગુ પડશે નહીં જેમની NRC પ્રક્રિયા દરમિયાન બાયોમેટ્રિક્સ લૉક કરવામાં આવ્યા હતા. આ લોકોને કોઈપણ વધારાની શરતો વિના આધાર કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, સરમાએ રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવા માટેના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાની તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને જાહેર કર્યું કે છેલ્લા બે મહિનામાં બાંગ્લાદેશથી આવતા ઘણા લોકોને પકડીને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.