નિઠારી હત્યા કેસ: સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવા સામે પીડિતાના પિતાની અરજી સાંભળવા માટે સુપ્રીમ સંમત

નવીદિલ્હી, નોઈડામાં ૨૦૦૬ના સનસનાટીભર્યા નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંદીપ મહેતાએ એક પીડિતાના પિતા પપ્પુ લાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર નોટિસ જારી કરી હતી. વરિષ્ઠ વકીલ ગીતા લુથરા અને એડવોકેટ્સ રૂપેશ કુમાર સિંહા અને સતરૂપ દાસે લાલ તરફથી હાજર થઈને કહ્યું કે હાઈકોર્ટે તેના નિર્ણયમાં ભૂલ કરી છે. બેન્ચે નોટિસ જારી કરી અને લાલની અરજી પર કોલીનો જવાબ માંગ્યો અને રજિસ્ટ્રીને નીચલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી રેકોર્ડ મંગાવવાનો પણ નિર્દેશ આપ્યો.

પોતાની અરજીમાં લાલે હાઈકોર્ટના ૧૬ ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો અને માત્ર કોળીને પક્ષકાર બનાવ્યો હતો. કોલી મોનિન્દર સિંહ પંઢેરનો ઘરેલુ નોકર હતો. સેશન્સ કોર્ટે આ કેસમાં પંઢેરને નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે કોલીને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ ફાંસીની સજા ફટકારી હતી. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવામાં આવી હતી.

૧૬ ઓક્ટોબરના રોજ, હાઈકોર્ટે કોલી અને પંઢેર દ્વારા દાખલ કરવામાં આવેલી બહુવિધ અપીલો પર તેનો ચુકાદો આપ્યો હતો, જેમને નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.અદાલતે બંનેને નિર્દોષ છોડી મૂક્યા, એમ કહીને કે ફરિયાદ પક્ષ ’વાજબી શંકાની બહાર’ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયો અને તપાસ ’નબળી’ હતી.

કોલીને ૧૨ કેસોમાં અને પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને ઉલટાવીને, હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રોસિક્યુશન બંને આરોપીઓના અપરાધને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે ’સંજોગોના પુરાવાના આધારે કેસમાં નિર્ધારિત પરિમાણો પર વ્યાજબી શંકાની બહાર’.