નેપાળમાં ઇસ્લામિક માન્યતા અનુસાર છૂટાછેડાના આધારે બીજા લગ્ન માટે કોઈ છૂટ નથી.

નેપાળની સુપ્રીમ કોર્ટ એક મહત્વનો નિર્ણય આપતાં કહ્યુ છે કે ઈસ્લામિક સમુદાયમાં ટ્રિપલ તલાકની પ્રથાને માન્યતા આપી શકાય નહીં. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું છે કે નેપાળમાં વર્તમાન કાયદા અનુસાર છૂટાછેડા સિવાય અન્ય રિવાજ અને સમુદાય-વિશિષ્ટ વ્યવસ્થાઓને સ્વીકારી શકાય નહીં. સ્પષ્ટ શબ્દોમાં કોર્ટે કહ્યું કે ઈસ્લામિક શરિયા કાયદાના આધારે આપવામાં આવતા તલાક મહિલાઓ સાથે અન્યાય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ટાંક બહાદુર મોક્તાન અને હરિપ્રસાદ ફુયાલની સંયુક્ત બેંચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે નેપાળમાં ઇસ્લામિક માન્યતા અનુસાર છૂટાછેડાના આધારે બીજા લગ્ન માટે કોઈ છૂટ નથી. કોર્ટે કહ્યું છે કે સમાન કાયદો તમામ ધર્મો અને ધાર્મિક માન્યતાઓના પુરુષો માટે લાગુ થવો જોઈએ.

છૂટાછેડા પછી બીજા લગ્નને માન્યતા આપવા અંગે કાઠમંડુના રહેવાસી મુનવ્વર હસન સામે તેની પ્રથમ પત્ની સવિયા તનવીર હસન દ્વારા દાખલ કરાયેલી રિટ પર નીચલી અદાલતોના નિર્ણયમાં સુધારો કરતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા અને બહુપત્નીત્વ વચ્ચે તફાવત છે. કોર્ટે કહ્યું કે નેપાળમાં બહુપત્નીત્વ એ કાનૂની અપરાધ છે અને ઇસ્લામિક માન્યતાઓના આધારે છૂટાછેડા પછી લગ્નને બહુપત્નીત્વ માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે કુરાનમાં મહિલાઓ સાથે ભેદભાવ અને પુરૂષોને વિશેષાધિકાર આપવાનો કોઈ ઉલ્લેખ નથી, તેથી ટ્રિપલ તલાકનો સંદર્ભ ખોટો છે.

ટ્રિપલ તલાકને લઈને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયનો ઉલ્લેખ કરતાં નેપાળની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરી છે. તે નિર્ણયના આધારે નેપાળની સુપ્રીમ કોર્ટે પણ ‘તલાક-એ-વિદ્દત’ના મુદ્દાને ગુનાહિત કૃત્ય ગણીને તેને ગેરકાયદેસર જાહેર કર્યો છે.

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે કાયદો બનાવતા એકસાથે ત્રણવાર તલાક બોલી અથવા લખીને લગ્ન સમાપ્ત કરવાને ગુનાની શ્રેણીમાં લાવ્યા હતા. આ ગુના માટે વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની જોગવાઈ પણ છે. આ કાયદાને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

ભારતમાં ટ્રિપલ તલાક કાયદો 19 સપ્ટેમ્બર 2018થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ ટ્રિપલ તલાક બોલવાને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યો હતો. કોઈ પણ મુસ્લિમ પુરુષ તેની પત્નીને એકવારમાં ટ્રિપલ તલાક આપી શકે નહીં. પોલીસ વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.