મોદી ૩.૦ : નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ૯ જૂને શપથ લેશે,સાંજે ૬ વાગ્યે સમારોહ યોજાઈ શકે છે

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે. ગઠબંધનના તમામ પક્ષોની બેઠક બાદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. જો કે તેમના શપથ સમારોહનો કાર્યક્રમ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે ૯ જૂને સાંજે ૬ વાગ્યે યોજાશે. અગાઉ આ સમારોહ ૮મીએ યોજાવાનો હતો, પરંતુ હવે તેને એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે વિદેશી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.૨૦૧૯ની લોક્સભા ચૂંટણી બાદ, ભારતે બીઆઇએમએસટીઇસી દેશોના નેતાઓને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.૨૦૧૪ માં, જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા ત્યારે, તત્કાલિન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી.

પીએમ મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘સ્માર્ટ બાંગ્લાદેશ ૨૦૪૧’ના વિઝનને આગળ વધારવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. એનડીએની જીત પર પીએમ મોદીને અભિનંદન આપનાર પ્રથમ વિદેશી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ છે. તેમણે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. વિદેશી નેતાઓને આજે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે.

હવે ચર્ચા ચાલી રહી છે કે પીએમ મોદીની નવી સરકાર કે મોદી ૩.૦માં કયા નેતાઓને જવાબદારી મળશે.મોદી કેબિનેટની યોજના માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે બેઠકો ચાલી રહી છે. આ બેઠકમાં જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહ્યાં હતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં ભાવિ મંત્રી પરિષદની રચના સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભાજપે પોતાની સરકારમાં સાથીઓની સંખ્યા પ્રમાણે મંત્રી બનાવવા પડશે. આનો અર્થ એ થશે કે મંત્રી પરિષદમાં ભાજપના મંત્રીઓની સંખ્યા ઘટશે અને સાથી પક્ષોની સંખ્યામાં વધારો થશે, પરંતુ ભાજપ કેટલીક શરતો સાથે ભાગ્યે જ સમાધાન કરશે.ચાર મંત્રાલયોમાં સહયોગીઓને સ્થાન આપશે નહીં, જે સંરક્ષણ, નાણા, ગૃહ અને વિદેશ બાબતો છે.ભાજપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, યુવા અને કૃષિ સંબંધિત મંત્રાલયો પણ પોતાની પાસે રાખવા માંગે છે.

ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો – ચાર જાતિઓ માટે મોદીએ ઉલ્લેખિત યોજનાઓને અમલમાં મૂકવા માટે આ મહત્વપૂર્ણ છે. રેલ્વે, રોડ ટ્રાન્સપોર્ટ વગેરેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે અને ભાજપ તેના સાથી પક્ષોને આપીને સુધારાની ગતિ ધીમી કરવાનું પસંદ કરશે નહીં. જો કે આમાં એક વળાંક આવ્યો છે મંત્રાલયો વિશે વિવાદ શરૂ થયો છે ભાજપના સહયોગી દળોએ મંત્રી પદ માટેની તેમની માંગણીઓ આગળ ધપાવવાનું શરૂ કર્યું છે.

મોદી ૩.૦માં સહયોગીઓની ભૂમિકા મહત્વની છે ટીડીપી જેડીયુ લોક જનશક્તિ પાર્ટી, ચિરાગ પાસવાનની ભૂમિકા મહત્વની છે. આ ચાર પક્ષોના મળીને ૪૦ સાંસદો છે. ટીડીપી અને જેડીયુને તેમની પસંદગીના મંત્રાલય જોઈએ છે. દર ચાર સાંસદો માટે એક મંત્રીની માંગ છે. આ સંદર્ભમાં ટીડીપી (૧૬) ચાર, જેડીયુ (૧૨) ૩, શિવસેના (૭) અને ચિરાગ પાસવાન (૫) ને બે-બે મંત્રાલય મળવાની અપેક્ષા છે. ટીડીપી પણ સ્પીકર પદ ઈચ્છે છે, જોકે ભાજપ તેના માટે તૈયાર નથી. જો વધુ જોર રહેશે તો ટીડીપીને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે. જેડીયુ પાસે રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનનું પદ પહેલેથી જ છે.

અત્યાર સુધી મોદીના બે કાર્યકાળ દરમિયાન સાથી પક્ષોને સાંકેતિક પ્રતિનિધિત્વ મળ્યું છે, એટલે કે તેમની સંખ્યાના પ્રમાણમાં મંત્રી પદ આપવાને બદલે માત્ર સાંકેતિક પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું, જ્યારે ૨૦૧૯માં જેડીયુએ સંખ્યા અનુસાર પ્રતિનિધિત્વની માંગ કરી હતી. અને આ થઈ રહ્યું ન હતું પરંતુ સરકારમાં જોડાયા ન હતા.હવે જોવાનું એ રહેશે કે ભાજપ તેના સાથીઓને કયું મંત્રાલય આપે છે જોકે ભાજપે આ વખતે સાથી પક્ષોને સાચવીને રાખવા પડશે.