નકલી ટોલનાકા મામલે વધુ ૩ ઝડપાયા, કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મોરબી, મોરબીમાં વઘાસિયા ખાતે ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસૂલવા પ્રકરણમાં ફેકટરી માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેમ જ અન્ય આરોપીઓમાં રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમ જ અન્ય સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર વઘાસિયા નજીક પકડાયેલ નકલી ટોલનાકા મામલે વાંકાનેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વાંકાનેર ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ આ કેસમાં રવિરાજસિહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે. તેમ જ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ, વઘાસિયા સરપંચ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્ર સિહ ઝાલા સહિત ૫ ઈસમો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોધાઇ છે. ત્યારે હવે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.