મધ્યપ્રદેશમાં કરા પડ્યા,ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ૩ દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ

દેશભરમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉનાળાની ઋતુમાં ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. અહીં 13 એપ્રિલ સુધી કરા પડવાનું પણ એલર્ટ છે. બુધવારે મધ્યપ્રદેશના 10 જિલ્લામાં કરા પડ્યા હતા.

આ સિવાય અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે કહ્યું કે સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારનું કારણ ઈરાન અને પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પહોંચી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે ફેબ્રુઆરી, માર્ચ અને હવે એપ્રિલમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યું છે. 13 એપ્રિલ પછી જમ્મુ-કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ એજ્યુકેશનના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના એસો. પ્રોફેસર ડૉ. પંકજ કુમારના જણાવ્યા અનુસાર, 1980 થી 2023 સુધીમાં WDમાં 43%નો વધારો થયો છે. હવે માર્ચમાં દર બીજા, ત્રીજા દિવસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી રહ્યું છે.

છિંદવાડામાં ગુરુવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સતત પાંચમા દિવસે મધ્યપ્રદેશમાં કરા અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. ભોપાલ-ઈન્દોર સહિત 31 જિલ્લાઓમાં આંધી, કરા, વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. નર્મદાપુરમ-બેતુલ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છત્તીસગઢમાં સક્રિય સિસ્ટમ નબળી પડી છે. જેના કારણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના એક-બે જિલ્લામાં જ વરસાદ પડ્યો હતો. બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહ્યું હતું. વાદળછાયું વાતાવરણ રહેવા છતાં વરસાદ ન થવાને કારણે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. રાજધાની રાયપુરમાં પણ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

ઉત્તરપ્રદેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગે 13, 14 અને 15 એપ્રિલે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ યુપીમાં 13 એપ્રિલે વરસાદ માટે રેડ એલર્ટ છે. જ્યારે પૂર્વ યુપીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ધૂળની ડમરીઓ સાથે 30 થી 40 કિ.મી. એક કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.૧૩મી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ૧૪મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો ૧૫મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે.