મોરબી બ્રિજ દુર્ઘટના આગામી ત્રણ સપ્તાહમાં એસઆઇટીનો ફાઇનલ રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ મુકાશે

  • ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહિ પણ તમામ પક્ષકારોને અપાશે.

31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો મચ્છુ નદી પર આવેલ ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ હોનારતમાં કુલ 135 લોકોના મોત થયા હતા. જેમાં 21 બાળકો હતા. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પીટીશન દાખલ કરી હતી. આ કેસમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બે ટિકિટ ચેકરને હાઇકોર્ટમાંથી જામીન પણ મળી ચુક્યા છે.

આજે સુઓમોટો પિટિશન મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ મુદ્દો સુપ્રિમકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેમાં પીડિત પક્ષ તરફથી આ કેસમાં CBI તપાસની માગ કરવામાં આવી હતી. યોગ્ય સમયાંતરે સતત સુનવણીની માગ કરવામાં આવી હતી. મૃતકોને વળતરની વાત હતી. ઉપરાંત જવાબદાર એજન્સી અને લોકોની જવાબદારી ફિક્સ કરવાની વાત હતી.

આજની સુનવણીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ હોનારત મુદ્દે SITનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, વચગાળનો SITનો રીપોર્ટ તેમને અપાયો નથી. તે સીલ કવરમાં હતો. જ્યારે ચીફ જજે કહ્યુ હતું કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે.

પીડિતોને વળતર મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી 4 લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ 4 લાખ રૂપિયાની સહાય એમ મળીને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મૃતક દિઠ કરાઈ છે. ઉપરાંત મૃતક દિઠ 10 લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ એઈડ સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોને કુલ 20 લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું છે. ઘાયલોને 2 લાખ રૂપિયા વળતર અપાયું છે.

મોરબી નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરાઈ છે. જેના ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના હુકમને નગરસેવકોએ હાઇકોર્ટમાં પડકાર્યો પણ છે. અત્યારે એડમિનિસ્ટ્રેટર નગરપાલિકાનો વહીવટ સાંભળે છે.

ચીફ જજે અનાથ બાળકોની સારસંભાળ વિશે પૂછ્યું હતું જે મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, અનાથ બાળકોને નામે 50 લાખ રૂપિયા અપાયા છે. તેમના ખાધા ખોરાકી અને અભ્યાસનો પણ સરકાર ધ્યાન રાખે છે. તેમને સરકારની જુદી-જુદી સ્કીમનો લાભ પણ મળશે. ઓરેવા કંપનીઓ પણ તેમાં પોતાની રીતે ફાળો આપશે. બાળકોની સારસંભાળ મુદ્દે સરકાર એફિડેવિટ ફાઈલ કરશે.