મોદી ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટી રાહત, ટ્રાયલ કોર્ટમાં સુનાવણી પર રોક

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને જેલમાં બંધ આપ સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. બંનેને તાત્કાલિક રાહત આપતા સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે સંજય સિંહની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેમણે કોર્ટની કાર્યવાહી ગુજરાત બહાર લઈ જવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને વિનંતી કરી કે સ્ટે અથવા ઓછામાં ઓછી વચગાળાની રાહત માટેની અપીલ પર ચાર અઠવાડિયામાં સુનાવણી કરે. પીએમની ડિગ્રી વિશે માહિતી માંગતો મામલો સાત વર્ષ જૂનો છે. હકીક્તમાં, એપ્રિલ ૨૦૧૬ માં, કેન્દ્રીય સૂચના આયોગે કેજરીવાલ પાસેથી તેમના ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ વિશે માહિતી માંગી હતી.

દરમિયાન, કેજરીવાલે પંચને કહ્યું હતું કે તેઓ સીઆઈસીને પોતાના વિશે જરૂરી માહિતી આપવા માટે તૈયાર છે, પરંતુ એમ પણ કહ્યું હતું કે પીએમને તેમની શૈક્ષણિક ડિગ્રીની વિગતો જાહેર કરવા પણ કહેવામાં આવે.સીઆઇસીએ કેજરીવાલના જવાબને નાગરિકની આરટીઆઇ અરજી તરીકે ગણ્યો. આ પછી, તત્કાલિન મુખ્ય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ વડા પ્રધાન કાર્યાલયને મોદીની દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક ડિગ્રીના ચોક્કસ નંબરો અને વર્ષો પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. આ આદેશ પીએમ સંબંધિત કોઈપણ દસ્તાવેજને શોધવા અને આપવાનું સરળ બનાવવા માટે આપવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ ૫૦૦ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ અને ટ્વિટર હેન્ડલ પર યુનિવસટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુક્સાન થયું છે.