માયાવતીને વિપક્ષના ઇન્ડિયા અલાયન્સ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાશે

  • હાલ કોંગ્રેસ તરફથી માયાવતીને ગઠબંધનમાં ચૂંટણી લડવા માટે રાજી કરવામાં આવી રહ્યા છે.

નવીદિલ્હી, હજુ સુધી કોંગ્રેસ, સપા, અને બસપાનું ગંઠબંધન થયું નથી. લોક્સભા ચૂંટણી ૨૦૨૪ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ એકલા ચલોની નીતિ અપનાવી રાખી છે. પરંતુ હવે ત્રણે પાર્ટીઓ તમને એક્સાથે મંચ પર જોવા મળી શકે છે. એવું કહેવાય છે કે આગામી ૮ દિવસની અંદર મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે. ખબર છે કે પ્રિયંકા ગાંધીએ માયાવતી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. તેમને લોક્સભા ચૂંટણીમાં સાથે રહીને લડવા માટે મનાવવાની કોશિશ કરી છે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક ફેંકી શકે છે. એવી અટકળો થઈ રહી છે કે માયાવતીને વિપક્ષના ઇન્ડિયા અલાયન્સ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસને આશા છે કે એક દલિત ચહેરો સામે આવવાથી પીએમ મોદીને પડકારી શકાય છે.

મલૂક નાગર બહુજન સમાજ પાર્ટીના સાંસદ છે. ડિસેમ્બર મહિનામાં તેમણે માયાવતી અને ઈન્ડિયા ગઠબંધનને લઈને મોટી ટિપ્પણી કરી હતી. ત્યારે ગઠબંધનના બીજ વાવનારા નીતિશકુમાર પલટીને ભાજપ સાથે જઈ રહ્યા હતા. ગરમાવાના માહોલમાં નાગરે કહ્યું હતું કે જો માયાવતીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવે તો તેઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે આવવા માટે તૈયાર છે. એવું માનવામાં આવ્યું કે તેમના મોઢેથી કદાચ માયાવતીએ જ સંદેશો પહોંચાડ્યો છે. તેમની વાત ગરમાઈ. પરંતુ રામમંદિરના ઉદ્ધાટન બાદ એક્તરફી જોવા મળી રહેલા મુકાબલામાં ટ્વિસ્ટ હજુ બાકી છે. કદાચ નાગરની એ વાત રાહુલ ગાંધીની ટીમને વિચારવા માટે મજબૂર કરી રહી છે.

પ્રિયંકા ગાંદીએ તેમના માતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની પહેલ પર માયાવતી સાથે વાત કરી છે. વાત જાણે એમ છે કે સોનિયા અને માયાવતીમાં અલગ જ પ્રકારનો ઉમળકો જોવા મળે છે. થોડા વર્ષો પહેલા એક મંચ પર બંને વચ્ચે વિશેષ પ્રેમ જોવા મળ્યો તો. હવે ચર્ચા છેકે બધુ પ્લાન મુજબ ચાલ્યું તો થોડા દિવસમાં ૮૦ લોક્સભા સીટોવાળા ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત પડકાર મળી શકે છે. જી હા…ઈન્ડિયા અલાયન્સમાં સપા, બસપા અને કોંગ્રેસ એકવાર ફરીથી મેદાનમાં ઉતરી શકે છે.

યુપી સહિત સમગ્ર દેશમાં ચર્ચા છે કે શું માયાવતી વિપક્ષના ગઠબંધનમાં જોડાશે? કોંગ્રેસ આ સુનિશ્ર્ચિત કરવા માટે મહેનત કરી રહી છે કે માયાવતી તેમની જોડે આવે. ભાજપ આમ ક્યારેય નહીં ઈચ્છે. કોંગ્રેસને ખબર છે કે યુપીમાં અનેક બેઠકો પર માયાવતીનો મજબૂત બેસ છે અને જો તે તેમની સાથે આવે તો તેનો વિપક્ષને ફાયદો થઈ શકે છે. આમ થયું તો એનડીએને સારી એવી ટક્કર મળી શકે છે.

વાત હજુ શરૂઆતના તબક્કામાં છે. માયાવતી કે કોંગ્રેસ કોઈએ અધિકૃત માહિતી શેર કરી નથી. સૂત્ર જણાવી રહ્યા છે કે ગઠબંધનમાં માયાવતીને સામેલ કરવા માટે કોંગ્રેસ અને બસપાના નેતાઓએ ત્રણ તબક્કાની વાત કરી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી અને માયાવતી વચ્ચે સારા સંબંધ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં યુપીના રાજકારણને લઈને પ્રિયંકા ગાંધી અને માયાવતી વચ્ચે વાતચીતથઈ હતી. સૂત્ર દાવો કરી રહ્યા છે કે હાલમાં લોક્સભા ચૂંટણીને લઈને પણ પ્રિયંકા અને માયાવતી વચ્ચે ટેલિફોનિક વાતચીતથઈ છે.

સૂત્રોનો દાવો છે કે હાલ કોંગ્રેસ તરફથી માયાવતીને ગઠબંધનમાં ચૂંટણી લડવા માટે રાજી કરવામાં આવી રહ્યા છે. સંકેત સકારાત્મક છે. સોનિયા ગાંધી ઈચ્છે છે કે માયાવતી સાથે ગઠબંધન થાય જ. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ એક દલિત ચહેરાને પ્રધાનમંત્રી પદ માટે આગળ ધરવા માંગે છે. આ જ કારણ છે કે પાર્ટી હાઈકમાને ઘણા સમય પહેલા મલ્લિકાર્જૂન ખડગેનું નામ આગળ કર્યું હતું. જો કે તેઓ પોતે પાછળ હટી ગયા. હવે માયાવતીને મનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગઠબંધનના બાકી સહયોગીઓને પણ તેના માટે રાજી કરવામાં આવી રહ્યા છે. આમ તો અખિલેશ યાદવ અને માયાવતીમાં હાલના સમયમાં ગણી તનાતની જોવા મળી હતી. અટકળો છે કે ગઠબંધન હેઠળ માયાવતી ૨૫ બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

એક સંભાવના એ પણ છે કે ચૂંટણીનું અધિકૃતિ નોટિફિકેશન જારી થતા બહુજન સમાજ પાર્ટી ગઠબંધનમાં જોડાઈ શકે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે બસપાને ગઠબંધનમાં સામેલ કરવાની જે વાતચીત ચાલુ છે તેના લીધે જ સપાની બાકી સીટોની જાહેરાત થઈ રહી નથી. સપાએ ૨૦ ફેબ્રુઆરી બાદ એક પણ સીટ માટે ઉમેદવાર જાહેર કર્યો નથી. માયાવતીના સાથે આવવાથી કોંગ્રેસ સમગ્ર દેશમાં દલિત, વંચિત, શોષિત સહિત ગરીબ વર્ગના લોકોને મોટો સંદેશ આપી શકે છે.